ગરીબીમાં માણસની ખરી કસોટી થતી હોય છે અને આ સમયે કેટલા લોકો આપણી મદદે આવે છે તેનો ખરો પરિચય કપરા સમયમાં થતો હોય છે. આવો જ એક લાચાર પિતાનો કિસ્સો મધ્ય પ્રદેશમાંથી સામે આવ્યો છે.
મધ્ય પ્રદેશના મુરૈનામાંથી શરમજનક કિસ્સો સામે આવ્યો
8 વર્ષનું નાનુ બાળક પોતાના નાના ભાઈની લાશ ખોળામાં લઈને રસ્તા પર બેઠો રહ્યો
લાચાર પિતાને ઘરે લાશ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ ન મળી
મધ્ય પ્રદેશના મુરૈનામાં શનિવારે એક 8 વર્ષનું બાળક પોતાના 2 વર્ષના નાના ભાઈની લાશને ખોળામાં લઈને બેઠેલો હતો. બાળકના પિતા પૂજારામ જાટવ પોતાના મૃત દિકરાની લાશને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સની શોધમાં આમ તેમ ભટકી રહ્યા હતા.
રસ્તા પર નાના ભાઈની લાશ લઈને બેઠો રહ્યો મોટો ભાઈ
નાના બાળકને રસ્તાની સાઈડમાં આવી રીતે લાશ લઈને બેઠેલો જોઈને લોકોની ભીડ ઉમટી પડી અને અધિકારીઓને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ઘટના મુરૈના જિલ્લાના અંબાહના બડફરા ગામની હોવાનું કહેવાય છે. પૂજારામ જાટવના બે વર્ષના દિકરા રાજાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. શરૂઆતમાં પૂજારામ પોતાના દિકરાને ઘરે સાજા કરવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે પેટનો દુખાવો અસહ્ય થયો તો, તે બાળકને લઈને મુરૈના જિલ્લા હોસ્પિટલ પહોંચ્યો, પૂજારામ પોતાની સાથે મોટા દિકરા ગુલશનને પણ હોસ્પિટલે લઈ ગયા હતા.
લાચાર પિતા આમતેમ ભટકતા રહ્યા પણ કોઈ વાહન ન મળ્યું
જો કે, મુરૈના જિલ્લા હોસ્પિટલમાં રાજાનું મોત થઈ ગયું હતું. ગરીબ અને નિ:સહાય પૂજારામે હોસ્પિટલના અધિકારીઓ પાસે દિકરાની લાશને ગામડે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની માગ કરી, પણ તેમણે ગરીબ પિતાની માગને ધ્યાને ન લીધી. હોસ્પિટલના અધિકારીઓ દ્વારા એમ્બ્યુલન્સ આપવાની ના પાડતા લાચાર બાપ પોતાના દિકરાની લાશ લઈને હોસ્પિટલ બહાર રસ્તા પર આવીને બેઠો.
ભાડા માટે પૈસા પણ નહોતા
પંચરની દુકાન ચલાવનારા પૂજારામ જાટવને હોસ્પિટલ તરફથી કોઈ વાહન નહીં મળતા અને બીજુ વાહન કરવા માટે તેની પાસે કંઈ પૈસા નહોતા, જ્યારે લાચાર પિતા પાસે કોઈ વિકલ્પ ન રહેતા પોતાના મોટા દિકરાના હવાલે નાના દિકરાની લાશ કરીને પોતે વાહનની શોધમાં નિકળી પડ્યો.
રસ્તા પર ભાઈની લાશ લઈને બેઠો રહ્યો છે મોટો ભાઈ
પૂજારામનો મોટો દિકરો ગુલશન પોતાના પિતા પાછા આવશે તે આશાએ નાના ભાઈની લાશને ખોળામાં રાખીને અડધા કલાક સુધી બેઠો રહ્યો. જ્યારે ભીડે અધિકારીઓને આ અંગે જાણકારી આપી તો, પોલીસે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને ડ્રાઈવરને પૂજારામ જાટવને ઘરે લઈ જવા માટે કહ્યું.
એમ્બ્યુલન્સ માટે પૈસા આપવા પડશે
પૂજારામ જાટવે જણાવ્યુ હતું કે, બાળકની માતા ઘર પર નહોતી. હું એક ગરીબ માણસ છું અને મને નહોતી ખબર કે, મારા દિકરાએ શું ખાધું અને તેની હાલત ખરાબ થઈ ગઈ. જ્યારે મેં ડોક્ટર્સને બતાવ્યું તો, તેમણે મને ઈનો અને હિંગ આપવા કહ્યું. ડોક્ટરના જણાવ્યા અનુસાર મેં મારા દિકરાને ઈનો અને હિંગ આપી પણ તેની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં. મને એમ્બ્યુલન્સ માટે પૈસા આપવાનું કહેવામાં આવી રહ્યું હતું. આ મામલે મુરૈના સિવિલ સર્જન વિનોદ ગુપ્તાએ કહ્યું કે, અમે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી, જ્યાં સુધીમાં ગાડી પહોંચે ત્યાં સુધીમાં તો બાળકના પિતા નિકળી ચુક્યા હતા.