સંગરુર: 78 વર્ષના એથ્લીટ બક્ષિશસિંહનું 1500 મીટરની રેસ જીત્યા બાદ મેદાનમાં હાર્ટઅટેકને કારણે મોત થયું. પંજાબ માસ્ટર એથ્લેટિક એસોસિયેશન દ્વારા વૃદ્ધો માટે યોજાયેલી એથ્લેટિક મીટ દરમિયાન તેમને હાર્ટઅટેક આવ્યો હતો. હોશિયારપુરના જલોવાલ ખાતે રહેતા બક્ષિશસિંહે 1500 મીટરમાં પહેલું અને 800 મીટરમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
1500 મીટરની રેસ પૂરી કર્યા બાદ આવ્યો હાર્ટએટેક
ગોલ્ડ મેડલ જીત્યા બાદ બક્ષિશસિંહ બહુ જ ખુશ હતા
મોત આવે તો મેદાનમાં જ આવે, એવી ઈચ્છા હતી
1500 મીટરની રેસ પૂરી કર્યા બાદ રિલેક્સ થતા હતા ત્યાં જ બક્ષિશસિંહને હાર્ટઅટેક આવ્યો હતો. સાથીઓએ તેમને તરત સંગરુર હોસ્પિટલે પહોંચાડ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગોલ્ડ મેડલ જીત્યા બાદ બક્ષિશસિંહ બહુ જ ખુશ હતા. રિલેક્સ થવા માટે જ્યારે તેઓ કપડાં બદલવા માટે ગયા તેઓ કપડાં પણ પહેરી શક્યા નહીં અને ત્યાં જ ઢળી પડ્યા હતા. બક્ષિશસિંહના સંબંધી મહીન્દરસિંહે જણાવ્યું, ''તેઓને દોડવું બહુ જ પસંદ હતું. તેઓ મિત્રોને કહેતા હતા કે મોત આવે તો મેદાનમાં જ આવે, જેથી એક ખેલાડી તરીકે હું મરું.'' બક્ષિશસિંહ નિવૃત્ત લશ્કરી જવાન હતા. 1982થી તેમણે રમતોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું અને. અત્યાર સુધીમાં તેઓ 200થી વધુ મેડલ જીતી ચૂક્યા છે. તેઓ 800 મીટર, 1500 મીટર અને 5000 મીટર રેસમાં ભાગ લઈ ચૂક્યા છે.