ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘના ખાતામાંથી પ્રમુખ, મહામંત્રી અને ખજાનચીએ પોતાના અંગત ફાયદા માટે નિવૃત્ત કર્મચારીઓના સાત લાખ રૂપિયા બારોબાર ઉપાડી લઈ સંઘ સાથે છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘના ખાતામાંથી કરાઇ છેતરપિંડી
પ્રમુખ, મહામંત્રી અને ખજાનચી 7 લાખ ઘરભેગા કર્યા
મણિનગર વિસ્તારમાં આવેલ દિલીપનગર સોસાયટીમાં રહેતા તેમજ ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ (BMS)માં મહામંત્રી તરીકે ફરજ બજાવતા જતીનભાઈ ભટ્ટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. તા. 2 ડિસેમ્બર, 2018 ના રોજ ગુજરાત એસટી નિવૃત્ત સંઘની વાર્ષિક સામાન્ય સભામાં એક ઠરાવ પાસ કરીને બધાંની હોદ્દા પર નિમણૂક કરવામાં આવી હતી.
તેમજ સંઘમાં છ મહામંત્રીની નિમણૂક કરવામાં આવી હતી અને સંઘનો મુખ્ય હેતુ નિવૃત્ત કર્મચારીઓના 300 રૂપિયા મેમ્બરશિપ મેળવીને સભ્ય બનાવવાનો હતો અને જે મેમ્બરે નાણાં ભર્યાં હોય તેમને એક પહોંચ આપવામાં આવતી હતી, જે નાણાં ભેગાં થયાં હોય તે સંઘ દ્વારા નક્કી કરેલ બેન્કમાં જમા કરાવાતાં હતાં. આ નાણાં ઉપાડવા માટેની સત્તા મહામંત્રી તરીકે ખીમજીભાઈ દુધાત્રા તથા પ્રમુખ તરીકે શાંતિલાલ અને ખજાનચી તરીકે ધીરુભાઈ ભવાણીને હતી.
ત્યારબાદ પ્રમુખ, મહામંત્રી અને ખજાનચી ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘમાં ગેરશિસ્ત આચરતા તેમજ રૂપિયાની ઉચાપત કરતા હોવાનું જાણવા મળતાં ભારતીય મજૂર સંઘે તાત્કાલિક એક બેઠક બોલાવીને તેમને પદ પરથી બરતરફ કર્યા હતા અને નવું માળખું બનાવી દીધું હતું.