બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બુધવારે રાત્રે એક મોટી દૂર્ઘટના ઘટી છે. અહીં એક ઇમારતમાં ભીષણ આગ લાગતાં 69 લોકોના મોત નિપજ્યાં છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે કેમિકલ રાખવાનું ગોડાઉન છે જેના કારણ આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોડી રાતથી ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો કે આગ એટલી ભયાનક લાગેલી છે જેના કારણે ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું છે કે મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થઇ શકે તેમ છે.
આ આગ ઢાકાના ભીડભાડવાળા વિસ્તાર એવા ચોક બજારમાં આવેલી મોટી ઇમારતમાં લાગેલી છે. આ બિલ્ડીગમાં કેટલાક માળને કેમિકલના ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર આગ ગેસનો સિલેન્ડર ફાટતા લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
જો કે આગ પર કાબૂ મેળવ્યા બાદ આ અંગેની પુષ્ટી કરવામાં આવશે. સિલેન્ડરમાં આગ લાગવાના કારણે આગ વધતી ગઇ અને ગોડાઉનમાં રાખેલા કેમિકલ કન્ટેનર સુધી પહોંચી જતાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જો કે જે બિલ્ડીંગમાં આગ લાગી છે તેમાં માત્ર કેમિકલ ગોડાઉન નથી પરંતુ લોકો પણ તેમાં રહે છે.