આજે સરદાર સરોવર નર્મદા ડેમનો 58મો સ્થાપના દિવસ છે. ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. આજે અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ છે. ત્યારે બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે.
નર્મદા: આજે સરદાર સરોવર નર્મદા ડેમનો 58મો સ્થાપના દિવસ છે. ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. આજે અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ છે. ત્યારે બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે.
છેલ્લા 36 કલાકમાં ડેમની જળસપાટીમાં 15 સેમીનો વધારો થયો છે. ઈન્દિરાસાગર ડેમનાં જળવિદ્યુત મથકો શરૂ થતાં પાણીની આવક વધી છે. બે દિવસમાં ડેમમાં કુલ 39 હજાર 445 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. જ્યારે હાલ ડેમની સપાટી 119.38 મીટરે પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વિવાદોનો સામનો કરી ચુકેલ બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના કદાચ દુનિયાની એકમાત્ર એવી યોજના હશે જેનું કામકાજ પૂર્ણ થતાં આશરે 6 દાયકાઓ કરતા પણ વધારે સમય લાગ્યો. વર્ષ 1946થી નર્મદા યોજનાના સર્વે બાદ વર્ષ 2017માં આ યોજનાનું લોકાર્પણ થયું. સરદાર સરોવર નર્મદા યોજનાને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે.
આ યોજના અંગેનો પ્રથમ વિચાર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને આવ્યો હતો અને ત્યારબાદ મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરે આ વિચારને સાકાર કર્યો હતો. પરંતુ 1946માં આઝાદી પહેલા આવેલા વિચાર 15 વર્ષ બાદ એટલે કે પાંચમી એપ્રિલે 1961ના રોજ સાકાર થયો.
તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે આ યોજનાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. ખાતમુર્હુત બાદ બંધનું કામકાજ અનેક અંતરાયોને પાર કરતા વર્ષ 1987માં શરૂ થયુ. પરંતુ વર્ષ 1994માં નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા મેધા પાટકરની આગેવાનીમાં બાબા આમ્ટે, અરુંધતી રોય જેવા લોકોએ પુન:વર્સન અને પર્યાવરણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી. જેના કારણે 1995 માં 80.3 મીટરે કામ અટકયું. અને 4 વર્ષ સુધી ડેમનું કામકાજ અધુરૂ રહ્યુ.
આ તમામ ઘટનાઓની સાક્ષી બનેલ નર્મદા યોજનાએ આજે 57 વર્ષ પૂર્ણ થઇને 58માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાનને સરદાર સરોવર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની એક વિશાળ પ્રતિમા બનાવવનો વિચાર આવ્યો અને ગત વર્ષે સાકાર થયો. આ સાથે જ ભારતની કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું.