રાજ્યમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક ભીંસમાં કે પછી માનસિક રીતે પરેશાનીને કારણે લોકો આપઘાત કરવા તરફ પ્રેરાઇ રહ્યા છે
વડોદરામાં વધ્યા આપઘાતના બનાવો
24 કલાકમાં 4 લોકોએ ટૂંકાવ્યુ જીવન
નજીવા કારણ અને દેવાનું ભારણ જવાબદાર
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 4 કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. આ ઘટના એટલે આપઘાતના બનાવો..! કોઈએ મોબાઈલ ગેમ તો કોઈએ દેવું વધી જતા જીવનને ટુકાવી દીધું છે. બેરોજગારી, નોકરીનો ડર, ફેમિલી પ્રોબ્લેમ, નાની વાતોમાં ગુસ્સો જેવી બાબતો આત્મહત્યા માટે કારણભૂત હોવાનું સાયકોલોજીસ્ટ માની રહ્યા છે
આપઘાત આખરી રસ્તો કેમ?
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના 4 બનાવો બનતા ચકચાર મચી છે, ગોરવામાં મોબાઇલ ગેમ રમતી યુવતીને ઠપકો અપાતા તેણીને ખોટું લાગી ગયું હતું. જે બાદ માતાએ ઠપકો આપતા યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. બાળ માનસને સમજવું અઘરું થઇ પડે તેવી સામાજિક સ્થિતિનું નિર્માણ ખરેખર ચિંતાનો વિષય બન્યો છે.તો વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. બીજી તરફ બાપોદ વિસ્તારમાં યુવકે દેવું વધી જતા જીવન ટુકાવ્યું છે. વાડી વિસ્તારમાં મહિલાએ ગળે ફાંસો ખાઇ જિંદગીને અલવિદા કર્યું છે. તેમજ ગોરવા વિસ્તારમાં યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. વડોદરા શહેરમાં વધતા જતા આપઘાતના કિસ્સાઓ ચિંતાનું કારણ બન્યા છે. આ ઘટનાઓ પાછળ નજીવા કારણ અથવા દેવાનું ભારણ મુખ્યત્વે જબાબદાર છે.
રાજકોટમાં પણ સામાન્ય બાબતમાં આપઘાતનો બનાવ (5 મે)
રાજકોટમાં શારીરિક પીડાથી ત્રસ્ત મહિલાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પદ્મકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ મેટ્રને આત્મહત્યા કરી લીધી. એરપોર્ટ રોડ પર રહેતા હેમલતાબેન કનેરીયાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતા પરિવારમાં ભારે દુઃખની લાગણી ફરી વળી છે. સુસાઇડ નોટમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોતાના પગના ઓપરેશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ઓપરેશનના 13 મહિના બાદ પણ ઘૂંટણમાં દુઃખાવો રહેતો હતો. આ અંગે પરિવારે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેને ઘૂંટણની તકલીફ હતી. સાંધાના બે ઓપરેશન કરાવ્યા હતા. પહેલુ ઓપરેશન રાજકોટમાં કરાવ્યુ હતું જે નિષ્ફળ રહ્યું. એટલે બીજુ ઓપરેશન અમદાવાદ કરાવ્યુ હતું. પરંતુ હાડકુ ખૂંચતુ હોવાની ફરિયાદ કરતા હતા. તેઓ ડિપ્રેશનની પણ દવા લઇ રહ્યા હતા. હાલ ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસે સુસાઇડ નોટ કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.
દારૂના દુષણથી કંટાળી પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ (2 મે)
અરવલ્લીના બાયડ તાલુકાના વાત્રક ગઢ ગામે રહેતા બળવંતભાઈ હિંમતસિંહ ડાભીને દારૂ પીવાની લત હોવાથી અવારનવાર ઘરકંકાસ થતો હતો.આશાબેન તેમના પતિને દારૂ ન પીવા બાબતે અનેકવાર સમજાવતા પરંતુ તેઓ માનતા નહીં અને આશાબેન સાથે ઝઘડો કરતા હતા.આખરે ઘરકંકાસથી ત્રસ્ત આશાબેને તેમના બે સંતાનોને ખેતરમાં લઈ જઈને ઝેરી દવા પી લીધી હતી...જેમાં સારવાર દરમિયાન 6 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થયુ હતું
રાજકોટમાં ધોરણ 10 ની વિદ્યાર્થિનીનો આપઘાત (27 એપ્રિલ)
રાજ્યમાં તાજેતરમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી. જે બાદ હવે ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે.ત્યારે પરીક્ષામાં નાપાસ થવાના ડરે રાજકોટના માંડા ડુંગર પાસે રહેતી વિદ્યાર્થીનીએ આપાધાત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, પરીક્ષામાં નાપાસ થવાના ડરે આપઘાત કરવાનો એક મહિનામાં આ ત્રીજો બનાવ હતો. મહત્વનું છે કે, રાજ્યમાંથી ચારે તરફથી વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા સામે આવી રહ્યાં છે.પરીક્ષાના પ્રેશરને સહન ન કરી શકતા નબળા મનના વિદ્યાર્થીઓ મોતને વહાલું કરી રહ્યાં છે.માસૂમ વિદ્યાર્થીઓ જેમણે જિંદગી જોઈ પણ નથી તેઓ અંતિમ પગલાં ભરી રહ્યા છે.જે ખુબ આઘાતજનક છે.ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં જ ધોરણ 10 અને 12ના ત્રણ વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા સામે આવ્યા છે.