40 વર્ષની વય એ વ્યક્તિના જીવનની બહુ જ અગત્યની ઉંમર છે. આ ઉંમરમાં માણસ પોતાના ઘડપણ અને પોતાના બાળકોના ભવિષ્ય માટે બચતની વ્યવસ્થા શરુ કરી દે છે. જો કે આ ઉંમરમાં કેટલીક આર્થિક રોકાણો અને ખર્ચની ભૂલો ટાળવી ખુબ જરૂરી છે નહીંતર સમય જતા તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. ત્યારે જાણીએ એવી 4 ભૂલો કઈ છે...
1. યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ ન કરવું; ઓછી ઇકવીટી રાખવી
જો આ ઉંમરે તમારો પોર્ટફોલિયો ખુબ સેફ છે; અર્થાત તમને નિયમિત જોખમ વગર રિટર્ન ચૂકવે છે પરંતુ રિટર્નની રકમ ઓછી છે તો એ તમારા માટે ગેરફાયદારૂપ બની શકે છે. આ ઓછી રકમ તમને નિવૃત્તિ પછી નક્કી કરેલી આવક કરતા ઓછી આવક આપશે.
આ ટાળવા માટે તમારે તમારા ઈન્વેસ્ટમેન્ટ પ્લાનને એડજસ્ટ કરવો પડશે. એ ખુબ જરૂરી છે કે તમે ડાયવર્સીફાઇડ પોર્ટફોલિયો રાખો.
તમારા માલિકીના ફ્લેટ, મકાન કે જમીન ઉપર વધુ પડતો ભરોસો ન રાખો. યાદ રહો કે આ સંપત્તિ લિક્વિડ ઍસેટ્સ નથી અર્થાત જયારે તમને રૂપિયાની તાત્કાલિક જરૂર હશે ત્યારે આ સંપત્તિ એટલી ઝડપથી વેચાઈ નહિ જાય.
2. બેદરકારીપૂર્વક ખર્ચ કરવો
40 વર્ષ કે તેથી વધુ ઉંમરે કન્ઝ્યુમર લોન અથવા ક્રેડિટ કાર્ડના હપ્તા ચૂકવવા ભારે પડી શકે છે કારણ કે આ હપ્તા તમારી બચતમાંથી જઈ રહ્યું છે.
જો તમારે ચકાસવું હોય કે તમે ખરેખર તમારી ડેટ એટલે કે ઉધારની રકમ ઘટાડી રહ્યા છો કે નહિ તો તમારી આવકમાંથી કેટલી રકમ અલગ અલગ હપ્તામાં વપરાય છે તે ચકાસો. આ રકમ ઉંમર સાથે ઘટતી જાય તે ખુબ જરૂરી છે.
વધુ આવક ધરાવતા લોકો પોતાની આવકમાંથી એક ખર્ચાળ લાઇફસ્ટાઇલ તરફ આકર્ષાય છે. પરંતુ આ લાઇફસ્ટાઇલ કરતા નિવૃત્તિ સમએ બચત રાખવી વધુ જરૂરી છે.
તમારે બચત સારા પ્રમાણમાં થઇ રહી છે કે નહિ એ ચકાસવું હોય તો તમારી આવકમાંથી કેટલા પ્રમાણમાં રકમ બચતમાં જઈ રહી છે તે ચકાસો. જો આ રકમનું પ્રમાણ તમારી ઉંમર સાથે વધી રહ્યું છે તો તમે સાચા રસ્તે જઈ રહ્યા છો.
3. પોતાના આર્થિક ધ્યેયને પ્રાથમિકતા ન આપવી
આ ઉંમરમાં વ્યક્તિએ 2 બાબતો ઉપર સૌથી વધુ ભાર મુકવાની જરૂર હોય છે. 1 પોતાની નિવૃત્તિ માટેની બચત 2. પોતાના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે બચત
અહીં નિવૃત્તિ માટે અલગ અલગ સ્કીમ્સ, સરકારી અને ખાનગી યોજનાઓ, જ્યાં કામ કરી રહ્યા છે તે કંપની પાસેથી રિટાયરમેન્ટને લગતી શું સ્કીમ છે તે જાણીને તેમાં જોડાઈ જવું ખુબ જરૂરી છે. આ ઉપરાંત સ્ટોક માર્કેટમાં લાંબા ગાળાનું રોકાણ પણ આ સમયે કામ લાગે છે.
પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવા માટે ઘણી વખત લોકો પોતાના રિટાયરમેન્ટની બચત વાપરી નાખે છે. આમ કરવું જો ટાળવું હોય તો શિક્ષણ માટે પહેલેથી જ બચત કરવી શરુ કરી દેવી જોઈએ.
અત્યાર સુધી તમારું નિવૃત્તિ બચત ભંડોળ ભરાવાનું શરુ થઇ ચૂક્યું હશે. એ ખુબ જરૂરી છે કે તમે મોજશોખ માટે કે બીજા કોઈ ઉધારના હપ્તા ચૂકવવા માટે આ ભંડોળનો ઉપયોગ ન કરો. આમ કરવાથી ભંડોળમાં મળતું અને ક્રમશ: વધતું વ્યાજનું ચક્ર પણ ખોરવાઈ જશે.
શિક્ષણ માટેનો ખર્ચ એજ્યુકેશન લોન વડે કરવો વધુ હિતાવહ છે. આ લોનમાં ટેક્સમાં પણ રાહત મળે છે અને લોનની ભરપાઈ આગળ જતા તમારા સંતાનો પણ કરી શકે છે.
4. અણધાર્યા ખર્ચને ધ્યાનમાં ન લેવા
આરોગ્ય માટે લાઈફ ઇન્શ્યોરન્સ ઉપરાંત ઇમર્જન્સી ફંડ, મેડિકલ ઇન્શ્યોરન્સ અને મેડિકલ કોર્પસ (આરોગ્ય ભંડોળ) હોવા ખુબ જરૂરી છે. જો આ સગવડ તમારી પાસે નહિ હોય તો તમારે લાંબા સમયથી બચાવી રહેલી રકમમાંથી આ ખર્ચ ભોગવવો પડશે.
લાઈફ ઇન્શ્યોરન્સને તમારી જીવનશૈલી, કામ અને ઉંમર પ્રમાણે રાખવો જરૂરી છે. તમારા તમામ ઇન્શ્યોરન્સને ચેક કરતા રહો કેમ કે નાની ઉંમરમાં લીધેલા ઇન્શ્યોરન્સ કરતા હવે તમારી જરૂરિયાત અને આરોગ્યમાં બદલાવ આવ્યો હશે. સતત ચેક કરતા રહેવાથી તમે સારી પ્રાઈઝમાં જરૂરિયાત મુજબનું કવર મેળવી શકશો.
તમારી વીમા કંપની તમને મેડિકલ ઇમર્જન્સી માટે કવર આપે છે કે નહિ તે ચેક કરી કેમ કે એ પરિસ્થિતિમાં સૌથી વધુ અને સૌથી ઝડપથી ખર્ચો થાય છે.
તમારું 40 વર્ષની વય પછીનું આયોજન આર્થિક સ્થિરતા તરફનું હોવું જોઈએ. જો તમે આ આયોજન હજુ સુધી ન કર્યું હોય તો તેને તાત્કાલિક રીતે અમલમાં મુકો જેથી તમે તમારી આવકને સારી રીતે મેનેજ કરી શકો અને નિવૃત્તિ બાદ બચતને સારી રીતે વાપરી શકો.