3જી જાન્યુઆરીનાં રોજ સમાજ માટે ઉમદા કાર્ય કરનારા દેશનાં અલગ અલગ રાજ્યોનાં 20 જેટલાં કર્મવીરોને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં એક મહિલા સહિત 4 કર્મવીરોને તેમનાં કાર્યો બદલ સન્માનિત કરવામાં આવશે. તેમજ રાષ્ટ્રપતિ આ ચારેય કર્મવીરોને આગામી દિવસોમાં ગ્રામીણ વિકાસ બાબતે આઈડિયા પર ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓને તેમનાં કામને વેગ મળે તે માટે સરકાર શું કરી શકે તે અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતાં છે. ત્યારે જાણીએ ગુજરાતનાં આ 4 કર્મવીરો કોણ છે...
ગુજરાતનાં ચાર કર્મવીરને રાષ્ટ્રપતિ સન્માનિત કરશે
ચારેય કર્મવીરો રાષ્ટ્રપતિને પોતાનું કામ અને નેક્સટ પ્લાન શેર કરશે
રાષ્ટ્રપતિ તેમને શું મદદ કરી શકે તે અંગે ચર્ચા કરશે
સૌથી પહેલી વાત કરીએ તો અમદાવાદનાં યુવનો માટે પ્રેરણા સમાન મિત્તલ પટેલ. મિત્તલ પટેલે વિચરતી વિમુક્ત જાતિનાં ઉદ્ધાર માટે અનેક કામો કરી તેમને તેમનાં હક અપાવ્યાં છે. જ્યારે મૂળ બંગાળનાં અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અમદાવાદમાં સ્થાયી થયેલા બિપ્લબ કેતન પાલ. જેમણે જળસંચય પર કામ કરીને અનેક ખેડુતોને જીવનદાન આપ્યાનું ઉમદા કાર્ય કર્યું છે. આ દેશું સૌથી પહેલું મોર્ડલ વિલેજ આપનારા બનાસકાંઠાનાં હિમાંશું પટેલનાં પુંસરી ગામ મોર્ડેલ પરથી અનેક ગામોને પ્રેરણા આપનારા ત્રીજા કર્મવીર છે. જ્યારે ચોથા કર્મવીર ડો. ઈસ્માઈલ ખત્રી છે કે જેમનાં પૂર્વજો સિંધ પ્રદેશથી આવ્યા હતાં. જેમણે પૂર્વજોની 5 હજાર વર્ષ જુની પૌરાણિક અજરખબાટિક પ્રિન્ટીગને ફરી જીવીત કરી છે.
વિચરતી વિમુક્ત જાતિને ઓળખ અપાવનાર મિત્તલ પટેલ
દેશમાં જેની ગણતરી વસ્તી ગણતરીમાં પણ નહોતી થતી તેવી વિચરતી વિમુક્ત જાતિને તેમનાં હકો અપવનારા મિત્તલ પટેલ મૂળ મહેસાણાનાં શંખલપુર ગામનાં છે. તેઓ કલેક્ટર બનવા માંગતા હતાં, પણ અભ્યાસ દરમિયાન તેમની સામે ભટકતુ જીવન જીવી રહેલા સરનામા વગરની વિચરતી વિમુક્ત જાતિનાં પરિવારોને ઓળખ અપાવવાનું બીડું ઝડપ્યું. જેમાં તેઓ સફળ રહ્યાં છે. આ ઉપરાંત દેહ વિક્રય સાથે જોડાયેલા વાડિયા ગામની અનેક મહિલાઓને સમાજમાં પુર્નસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. તેમનાં આ કાર્યો બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે તેઓને નારીશક્તિ પુરસ્કાર રાષ્ટ્રપતિનાં હસ્તે મળ્યો હતો. અત્યારે તેઓ 87 તળાવો તૈયાર કર્યા છે. તેઓ રાષ્ટ્રપતિને તેમના કામની સાથે આ વિચરતી વિમુક્ત જાતિની સમસ્યાઓ અંગે વાત કરશે.
ખેડૂતોને ડિગનીટી વાળું જીવન આપનાર બિલ્પબ પાલ
મૂળ પં. બંગાળનાં અને ગુજરાતમાં એન્વાયરમેન્ટ સ્ટડી કરવા માટે આવેલાં બિપ્લબ કેતન પાલે ઉત્તર ગુજરાતનાં સૂકા પ્રદેશમાં જળ વ્યવસ્થાપનમાં ઈનોવેશન કરી પાટણનાં ગામડાનાં ખેડૂતોની સમસ્યાનો અંત લાવી જીવનદાન આપ્યું હતું. પાટણનાં ગામનાં ખેતરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જતું હોવાથી ખેતી થઈ શકતી નહોતી. આ ખેડૂતોને શિયાળો અને ઉનાળો બોરવેલનું પાણી ખેંચી ખેતી કરવી પરવડે તેવી ન હોવાથી તેઓ પોતાની જમીનો છતાં મજૂરી કામ કરવા જતાં હતાં. તેઓએ આ સમસ્યા અંગે બિપ્લબ પાલને કહેતાં તેઓએ ભુંગરુ નામની ટેકનિક વિકસાવી હતી. જેથી ચોમાસામાં ખેતરમાં ભરાઈ રહેતાં પાણીનો સંગ્રહ થવા લાગ્યો અને ખેડુતો કોઈ પણ સિઝનમાં પાક લેતા થઈ ગયાં. તેમને સ્વાવલંબી બનાવવા તેમણે આ ભુંગરુની પેટન્ટ નથી કરાવી. તેમની આ ટેકનિકને નેશનલ લાઈવહુડ રુરલ મિશન પ્રોગ્રામમાં ભારત સરકારે અપનાવી તમામ રાજ્યો આ અપનાવાં સૂચન કર્યું છે. તેમની આ ટેકનીકને વિયેતનામ, બાંગ્લાદેશ અને ઘાનાએ પણ બિપ્લબ પાલને બોલાવી અપનાવી છે. તેમની આ ટેકનીક ભારતનાં 12 રાજ્યમાં 4 હજાર યુનિટ તરીકે કાર્યરત છે જેનો લાભ 1 લાખથી વધારે ખેડૂતોને મળી ચૂક્યો છે.
દેશનું પ્રથમ સ્માર્ટ વિલેજ આપનાર હિમાંશું પટેલ
બનાસકાંઠાનાં પુંસરી એ વર્ષ 2010માં ગુજરાતનું પહેલું સ્માર્ટ વિલેજ હતું. એ બાદ 2014માં તે દેશનું પ્રથમ સ્માર્ટ વિલેજ બન્યું હતું. વર્ષ 2006માં સરપંચ બનનારા હિમાંશું પટેલે નિવૃત્તિ બાદ પણ લોકોને સ્માર્ટ વિલેજ બનાવવા મદદ કરતાં રહ્યાં હતાં. તેઓએ દેશનાં તમામ રાજ્યનાં સરપંચોને ટ્રેનિંગ આપવા ગામમાં તાલીમ કેન્દ્ર તૈયાર કર્યું છે. તેઓએ અત્યાર સુધીમાં 23 રાજ્યનાં 1 હજારથી વધારે સરપંચ સાથે જોડાઈને આ કાર્ય આગળ વધાર્યું છે. 3 વર્ષમાં આ ગામની મુલાકાત 2 લાખથી વધારે લોકો લઈ ચૂક્યાં છે. 60 દેશનાં ડેલિગેટ્સ પણ અહીં ટ્રેનિંગ માટે આવી ચૂક્યાં છે. હિમાંશુ પટેલ ભારત સરકારનાં કુપોષણ મુક્ત ભારતનાં પ્રોજેક્ટ માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂંક કરાઈ છે.
5 હજાર વર્ષ જૂની પદ્ધતિ ફરી જીવંત કરનારાને યુકેની યુનિ.એ ડોક્ટરેટની ઉપાધીથી નવાજ્યા છે
કચ્છનાં અજરખપુર ગામનાં ઈસ્માઈલ ખત્રીનાં પૂર્વજો મૂળ સિંધ પ્રદેશનાં છે. તેમની આ નવમી પેઢી કચ્છમાં વસવાટ કરી રહી છે. તેઓ અજરખબ્લોક પ્રિંન્ટ વિશે અને આ કામ સાથે જોડાયેલા લોકોને પડતી સમસ્યા વિશે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરશે. ઈસ્માઈલ ખત્રી અજરખબાટિક હસ્તકલામાં કેમિકલનાં રંગો વપરાતા હોવાથી લોકોને કેન્સર જેવી સમસ્યા થાય છે એ જાણ્યા પછી તેણે તેમના હયાત વડીલોને મદદથી તેમનાં પૂર્વજો 5 હજાર વર્ષ પહેલાં જે નેચરલ ડાઈ બનાવતા અને વાપરતા તેને ફરી જીવંત કરી છે. આજે તેમના આ ઉમદા કર્યાની સમગ્ર વિશ્વમાં નોંધ લાવાઈ છે. આ કાર્યબદલ યુકેની ડી મોન્ટફોર્ટ યુનિ.એ 2002માં ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કર્યા હતા. યુનેસ્કો દ્વારા સીલ ઓફ એક્સેલન્સ એવોર્ડથી પણ તેમને સન્માનિત કરાયા છે.