લોકસભાની ચૂંટણીને હવે થોડ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં ઉથલપાથલ થઇ રહી છે, ત્યારે આજે કોંગ્રેસના કુલ 22 જેટલા સભ્યોએ પક્ષને રામ રામ કહીને ભાજપમાં જોડાયા હતા.
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ગુજરાત લોકસભાની ચૂંટણીને ગણતરીની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે અમરેલી કોંગ્રેસમાં બળવો થયો છે. એક સાથે કોંગ્રેસના 12 સભ્યોએ બળવો કરી ભાજપમાં ભળી ગયા છે. અમરેલી નગરપાલિકા પ્રમુખ સહિત 12 સભ્યોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો કર્યો છે. તો બીજી તરફ ધારી કોંગ્રેસના 10 આગેવાનોએ પણ કેસરિયો કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ તમામ બળવાખોરોને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસ આગેવાન કિરીટ પટેલે કેસરિયો ધારણ કર્યો હતો
મહત્વનું છે કે, ગઇકાલે મહેસાણા કોંગ્રેસના આગેવાન કિરીટ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. ભાજપનો કેસરિયો કરતાની સાથે જ કિરીટ પટેલ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલના પ્રચારમાં પણ જોવા મળ્યાં હતા.
મહત્વનું છે કે કોંગ્રેસ તરફથી કિરીટ પટેલને ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસથી નારાજ થયા હતા અને અપક્ષ ચૂંટણી લડ્યાં હતા. એટલું જ નહીં ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી પણ કિરીટ પટેલ ચૂંટણી લડી ચુક્યાં છે. જો કે લોકસભા પહેલા જ કડવા પાટીદાર સમાજના અગ્રણી ગણાતા કિરીટ પટેલ ભાજપનો કેસરિયો કરતા કોંગ્રેસને ફટકો પડી શકે છે.