રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે, ભારે વરસાદ પડવાને કારણે 20 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આ નિર્ણયને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થશે.
રાજ્યમાં વરસાદને કારણે 20 રસ્તાઓ કરાયા બંધ
4 સ્ટેટ હાઈવે સહિત 20 રસ્તાં બંધ કરવામાં આવ્યા
સૌથી વધુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રસ્તા કરાયા બંધ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, બંધ કરવામાં આવેલ 20 રસ્તાઓ પૈકી પંચાયતના 16 માર્ગો સામેલ છે. બંધ રોડમાં મોટાભાગના રસ્તાઓ સૌરાષ્ટ્રના છે. દેવભૂમિ દ્વારકામાં 2 મેજર ડિસ્ટ્રિક્ટ રોડ પણ બંધ થયા છે.
રાજ્યમાં 20 રસ્તાઓ બંધ કરાયા
ઉલ્લેખનીય છે કે, 4 સ્ટેટ હાઈવે સહિત 20 જેટલા રસ્તાઓ વરસાદને કારણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ અને દ્વારકામાં 1-1,જામનગરમાં 2 માર્ગ બંધ કરાયા છે તો જૂનાગઢમાં 4, પોરબંદરમાં 8 માર્ગ વરસાદને કારણે બંધ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં વરસી રહ્યા છે મેઘરાજા
રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા વરસી રહ્યા છે. તો ક્યાંક ભારે વરસાદના કારણે નુકસાનની ઘટના પણ સામે આવી છે. ક્યાંક ખેતરોમાં પાણી ભરાયા તો ક્યાં દીવાલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે કેટલીક જગ્યાએ ખેડૂતો ખુશખુશાલ પણ નજરે પડ્યા હતા.
અમરેલીના બાબરા, લાઠી, સાવરકુંડલા, કાનાતળાવ, હાથસણી, નેસડી, ચારખડીયા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારો કડીયાળી, વઢેરા, બલાણા ગામે પણ વરસાદ પડ્યો હતો. અમરેલીના ગીરમાં લીલી ચાદર છવાઇ ગઇ છે.
રાજકોટના લોધિકા, વડ વાજડી, વિરડા વાજડી, મેટોડા અને જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢના ઝાંઝરડા, મોતીબાગ, કાળવા, ભવનાથમાં વરસાદ પડ્યો હતો. તો વડોદરામાં રાજમહેલ રોડ, કાલાઘોડા સર્કલ, રાવપુર અને દાંડિયા બજાર બ્રીજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના ઉમરાળા તાલુકામાં ધોળા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
આ સાથે ખંભાળીયા, ધ્રાંગધ્રા, તાપી, અરવલ્લી, સુરત અને દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ખંભાળીયામાં ધીમીધારે વરસાદ થયો છે. હર્ષદપુર, ધરમપુર, યોગેશ્વરનગરમાં વરસાદ થયો છે. નગરગેઇટ, ચારરસ્તા વિસ્તારમાં વરસાદ થયો છે. તેમજ ખંભાળીયા આસપાસના વિસ્તારમાં વરસાદ થયો છે.