મોસાળવાસીઓ ભગવાન અને ભક્તની આગતા સ્વાગતામાં વ્યસ્ત હોવાંથી મામેરાના દર્શન કરી શકતા નથી. આથી રથયાત્રા પહેલાં અગિયારસના દિવસે મામેરાના દર્શન રાખવામાં આવે છે.
સરસપૂર ખાતે યોજાયુ ભગવાનનું મામેરૂં
મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા
કમળ અને ગાયની કૃતિ વાઘા - ઘરેણાંમાં
છેલ્લા બે વર્ષ કોરોનાના કારણે રથયાત્રા ધામધૂમથી ઉજવી શકાઈ નહોતી પરંતુ આ વર્ષે રથયાત્રા હર્ષોલ્લાસથી ઉજવાશે તે નક્કી છે. તેવામાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું મામેરૂ યોજાયું હતુ, જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતુ.
ભગવાનના મોસાળ સરસપુરમાં મામેરાના દર્શન
અમદાવાદમાં અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથ નગરચર્યાએ જશે. આજે સરસપુરમાં ભગવાનનું મામેરૂ કરવામાં આવ્યું હતુ. આ મામેરાની તૈયારીઓ લગ્નની જેમ કરવામાં આવી હતી. ભગવાનના વાઘા અને દાગીનાની સજાવટ માટે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ કરવામાં આવી હતી. દાગીનામાં ચંદનના હાર હોય છે તેમ અમે ચંદનના હાર કમળ અને જડતરના સ્ટોન વગેરે સાથે બનાવ્યા છે. ભગવાનના મોસાળાના વાઘા અને દાગીનાની થીમ યજમાને જાતે જ તૈયાર કરી છે. જેમાં ભગવાનને પ્રિય એવા મોર, કમળ અને ગાય પર આખી થીમ તૈયાર કરી છે. અત્યાર સુધી ભગવાનના જે સ્કાય બ્લુ અને અને ગુલાબી કલરના વાઘા નથી બન્યા એવા વાઘા બનાવ્યા છે. ભગવાન વાઘા પર જરદોશી વર્ક સાથે સુંદર લાગે એવું વર્ક બનાવ્યું છે.
હાલમાં ભગવાન મોસાળમાં કરી રહ્યાં છે વિરામ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામનું સરસપુર ખાતે મામાના ઘરે મોસાળમાં મામેરાના દર્શન યોજાતાં હોય છે. આજે સરસપુર મંદિર ખાતે મામેરાના દર્શન યોજાયા છે. મૂળ સરસપુરના જ રહેવાસી અને હાલ આંબાવાડી ખાતે રહેતા રાજેશભાઈ પટેલ દ્વારા મામેરું કરવામાં આવ્યું છે. આજે મામેરાના દર્શનમાં રાજેશ પટેલ અને તેમના ભાઈનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભગવાનનુ મોસાળુ ભવ્ય રીતે રાજેશભાઈ પટેલ પોતાના ઘરે લઈ જશે અને 25 અને 26 જૂન એમ બે દિવસ સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી મોસાળાના દર્શન તેમના ઘરે રાખવામાં આવ્યા છે.
મહિલા ભજન મંડળીઓ દ્વારા ભજનના સૂર રેલાયા
આજે મામેરાના દર્શન હોવાથી સરસપુર મંદિરે મોટી સંખ્યામાં દર્શાનાર્થીઓ ઉમટ્યા હતા. સરસપુર વિસ્તારમાંથી દર્શને આવેલી મહિલાઓ અને પુરૂષોએ કરતાલ વગાડીને ભજન ગાયા હતાં. ભગવાનના ભકિતભાવમાં જોડાયા હતા. જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.