લોકસભાની ચૂંટણીને લઇ સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. હાલ ટિકિટ વહેંચણીને લઇને ભાજપ દ્વારા મહામંથન ચાલી રહ્યું છે. ત્યારે મજબૂત દાવેદારોએ વર્તમાન સાંસદોની ચિંતામાં વધારો કર્યો છે. એક એક સીટ પર 10થી વધારે નામ આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સૌરાષ્ટ્રની 6 લોકસભા બેઠકો પરથી મજબૂત દાવેદારોએ ટિકિટની માગ કરી છે.
જામનગરથી રિવાબા જાડેજાએ દાવેદારી કરી છે જેને લઇ પૂનમ માડમ માટે કપરા ચઢાણ છે. પૂનમ માડમ આહીર સમાજના મહિલા આગેવાન છે. તો સામે રિવાબા ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઉભરી રહ્યાં છે. જામનગરમાં જ્ઞાતિગત સમિકરણોને આધારે મૂલ્યાંકનની શક્યતા.
તો બીજી મોટી વાત એ છે કે, નાદુરસ્ત તબિયતના કારણે પોરબંદરથી વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયા ચૂંટણી નહીં લડે. ત્યારે હાલ પોરબંદર બેઠક પરથી ભાજપમાં અનેક દાવેદારો છે. જેમાં વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત રાદડિયાએ પણ દાવેદારી કરી છે. લલિત રાદડિયાને ટિકિટ અપાવવા મંત્રી જયેશ રાદડિયા દ્વારા પ્રયાસ કરાયા છે. તો લલિત રાદડિયા સામે જસુબેન કોરાટની પણ મજબૂત દાવેદારી છે. મહિલા ઉમેદવાર તરીકે જસુબેન કોરાટની પસંદગી થઇ શકે છે.
જ્યારે સુરેન્દ્રનગર બેઠક પરથી વર્તમાન સાંસદ દેવજી ફતેપુરાનું પત્તુ કપાઇ શકે છે. સુરેન્દ્રનગરથી વરિષ્ઠ આગેવાન શંકર વેગડે દાવેદારી નોંધાવી છે. તો ડો.મહેન્દ્ર મુજપુરાએ પણ મજબૂત દાવેદાર છે.
તો રાજકોટ બેઠક પરથી વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને ટિકિટ મળી શકે છે જો કોઇ મજબૂત દાવેદારી ન થાય તો. પરંતુ બીજી બાજુ રાજકોટ બેઠક પરથી PM મોદીના નામની ચર્ચા થતા ગરમાવો. રાજકોટથી જો PM મોદી ચૂંટણી લડે તો કુંડારીયાની ટિકિટ કપાઇ શકે છે. જ્યારે અમરેલી બેઠક પરથી ભાજપ નવા ચહેરાને તક આપી શકે છે. ભાજપ નારણ કાછડિયાની જગ્યાએ યુવા ચહેરાને ઉતારી શકે છે.