સુરતઃ શૈક્ષણીક સત્ર પુરુ થવાના હવે 100 દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. 1.60 લાખ જેટલા બાળકો માટે ગણવેશ ખરીદી કરવામાં આવ્યા છે. જેના માટે આજે એક વિતરણ મહોત્સવ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તો અનેક નેતાઓ ઉપસ્થિત હતા.
પરંતુ એવું સાંભળવા મળ્યું કે શિક્ષણમંત્રી નથી આવવાના ત્યારે નેતાઓ કાર્યક્રમ છોડી રવાના થઈ ગયા હતા. ત્યારે સમગ્ર ખરીદીને લઈને કોંગ્રેસ દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે. તો ગણવેશની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાની વિજિલન્સમાં ફરિયાદ પણ કરી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે શિક્ષણ મંત્રી સુરતમાં હોવા છતાં પણ કાર્યક્રમથી અળગા રહ્યા. જેને લઈને પણ અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.
જ્યારે આ મામલે શિક્ષણ સમિતિના ચેરમેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમને સમગ્ર વાતથી ઇનકાર કર્યો હતો. સાથે સાથે તેમણે આ મામલે કોઈ પણ ભ્રષ્ટચાર નથી થયો તેમજ વિજિલન્સમાં કોઈપણ ફરિયાદ નથી થઈ હોવાનું ગાણું ગાયું હતું. પરંતુ ગણવેશ વિતરણનો કાર્યક્રમ 40 દિવસ પછી કરવામાં આવ્યો તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત શિક્ષણ મંત્રીની ગેરહજરીને લઈને જ્યારે સવાલ કરવામાં આવ્યો છે. ત્યારે તેમને તેઓ તેમના અંગત કાર્યક્રમમાં હોવાને કારણે આવ્યા નથી.
કંઈપણ હોય પરંતુ 40 દિવસથી ગણવેશ ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા. ઉપરાંત બીજા સત્રને પૂરું થવામાં 100 દિવસનો સમય પણ બાકી નથી ત્યારે વિતરણ કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. તેથી આ સમગ્ર વાત હાલ તો શંકાના દાયરામાં છે.