રાજ્ય સરકાર દ્વારા વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા..
વિશ્વ ધરોહર દિવસની ઉજવણી
સ્વચ્છતા સૈનિકનું સન્માન કરાયું
હેરિટેજ સ્મારકોની જાળવણીનો દાવો
આપણા દેશમાં એવા અનેક સ્થાપત્યો છે, સ્થળો છે જેનું આગવુ ઐતિહાસિક એક મહત્વ છે..દિવસ જાય તેમ વિકાસ થાય તે સ્વાભાવિક છે પરંતુ આપણી ઐતિહાસિક ધરોહરો અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા એટલા જ જરુરી છે. જેને લઇને યૂનેસ્કો દ્વારા દર વર્ષે 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનું કારણ એ પણ છે હાલની જનરેશનને ઐતિહાસિક સ્થળોના મહત્વની માહિતી મળી રહે તથા તેની સારસંભાળ લેવાની પણ લોકોની જાગૃતિ કેળવાય. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ખાતે વિશ્વ ઘરોહર દિવસની ઉજવણી કરવામાં આવી.
ગાંધીનગરમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે નર્મદા હોલમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ અને બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર, અમદાવાદ અને ખેડાના સ્વચ્છતા સૈનિકનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા રાજ્યના હેરિટેજ સ્મારકોની યોગ્ય જાળવણી થઇ રહી હોવાનો પણ મંત્રીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
ક્યારથી ઉજવાય છે વર્લ્ડ હેરિટેજ ડે ?
પ્રથમ વખત 1968માં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો અને પ્રાકૃતિક સ્થળોની સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સ્ટોકહોમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો. તે પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. તે સમયે, 18 એપ્રિલ 1978 ના રોજ, આ દિવસને વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી યૂનેસ્કોની યાદીમાં ખાસ સ્થળ જેવા કે વન ક્ષેત્ર, પર્વત, તળાવ, સ્મારક, ભવન કે શહેરનો સમાવેશ થાય છે. વર્ષ 2013 સુધીમાં દુનિયાના લગભગ 981 સ્થળોને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા. જેમાં ઈટલીના 49, ચીનના 45, સ્પેનના 44, ફ્રાંસ અને જર્મનીની 38 ધરોહરનો સમાવેશ થાય છે.