ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને તેના ચાહકો ફરી એક વાર મેદાન પર રમતો જોવા ઇચ્છે છે. આઇસીસી વિશ્વકપ બાદથી ધોની મેદાનથી દૂર જ રહ્યો છે. ધોની છેલ્લે વન ડે વિશ્વકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. ગત સોમવારે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની રમાનારી શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. એ ટીમમાં ધોનીનું નામ નહોતું. ધોનીએ ખુદ કહ્યું હતું કે જાન્યુઆરીમાં તે વાપસી કરી શકે છે, તો પછી ધોનીનું નામ ટીમમાં શા માટે નથી?
ચાહકો ધોનીને મેદાન પર રમતો જોવા ઈચ્છે છે
ICC વિશ્વકપ બાદથી ધોની મેદાનથી દૂર જ રહ્યો છે
ઓસ્ટ્રેલિયા સામેની ટીમમાં ધોનીનું નામ નથી
ભારત તા. 9 જુલાઈ, 2019ના આઇસીસી વિશ્વકપની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યું હતું. ત્યાર બાદથી લગભગ પાંચેક મહિનાનો સમય પસાર થઈ ચૂક્યો છે. ધોની ના તો કોઈ મેચ રમ્યો છે કે ના તો પસંદગીકારોને પોતાના ભાવિ પ્લાન વિશે કોઈ જાણકારી આપી છે. આ સમયગાળા દરમિયાન ભારત વિન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ફરી વિન્ડીઝ સામે શ્રેણી રમ્યું. ધોની સતત ટીમની બહાર જ રહ્યો છે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે પસંદ થયેલી ટીમમાં સ્થાન ન મળ્યા બાદ હવે એવું સમજવામાં આવી રહ્યું છે કે ધોનીને ડ્રોપ કરવામાં આવ્યો છે.
નવેમ્બરના અંતમાં જ્યારે ધોનીને મેદાનમાં પાછા ફરવા અંગેનો સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે જણાવ્યું હતું, ''જાન્યુઆરી સુધી પૂછતા નહીં.'' એ નિવેદન બાદ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે જાન્યુઆરીમાં ધોની ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં વાપસી કરી શકે છે, પરંતુ ગત સોમવારે પસંદ થયેલી ટીમ ઇન્ડિયામાં ધોનીનું નામ સામેલ નહોતું. ભારત શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સિવાય જાન્યુઆરીમાં હવે કોઈ શ્રેણી રમવાનું નથી. ન્યૂઝીલેન્ડના પ્રવાસે ટીમ ઇન્ડિયા જશે અને પછી માર્ચમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે રમશે.
ટીમ ઇન્ડિયા જાન્યુઆરીમાં શ્રીલંકા સામે ત્રણ ટી-20 મેચ અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન ડે મેચની શ્રેણી રમશે. ત્યાર બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે, જ્યાં ટી-20, વન ડે અને ટેસ્ટ શ્રેણી રમવાની છે. માર્ચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે, જે દરમિયાન ત્રણ વન ડે મેચની શ્રેણી રમાશે. ત્યાર બાદ આઇપીએલની આગામી સિઝન રમાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં રમાનારા આઇસીસી ટી-20 વિશ્વકપમાં ભાગ લેશે.