અમદાવાદ: મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 96 કલાક દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાતા આ આગાહી કરવામાં આવી છે.
આગામી 24 કલાકમાં આ પ્રેશર વધુ મજબુત બનવાની ભીતિ છે. અમદાવાદમાં 23 અને 24 ઓગસ્ટ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી છે.. લો-પ્રેશર 48 કલાકમાં વિદર્ભ થઈને ગુજરાત પહોંચી શકે છે અને આવતી કાલથી વરસાદનું જોર વધી શકે છે.
ઉલ્લેનીય છે કે ગુજરાતમાં ઘણી વાટ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતાં જળાશયો છલકાયા છે. ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડથી ડેમોમાં પાણીની આવક થઈ છે. કુલ 203 જળાશયોમાં 219676 MCFT પાણીનો સંગ્રહ થયો છે. જળાશયોની કુલ સંગ્રહ શક્તિના 39.47 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 32.59 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 53.99 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 36.73 ટકા પાણીનો સંગ્રહ થયો છે અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં 44.30 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.
આપને જણાવી દઇએ કે એક તરફ કેરળમાં કુદરતે કાળો કહેર વરસાવ્યો છે ભારે વરસાદને લઇને જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે તો કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેરળમાં જોવા મળેલ મેઘરાજાના પ્રકોપને લીધે કેટલાય જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે ત્યારે ગુજરાતના વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.
રાજ્યના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાતા ગુજરાતના મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે કેરળની જેમ મેઘરાજ ગુજરાત પર તો કોપાયમાન નહીં થાય ને..?