આવતીકાલે વધુ એક વખત અડધા રાજકોટ શહેરમાં પાણીકાપ લાદવામાં આવ્યો છે.
ભર ઉનાળે પાણી કાપથી લોકો થશે પરેશાન
વારંવાર ટેક્નિકલ કારણોને લીધે પાણી કાપ
વોર્ડ ન.1,2,3,4,5,7,9,10 અને 14 માં નહિ મળે પાણી
રાજકોટના પ્રજાજનો પર ફરી એક વખત પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છતે પાણીએ આવતીકાલે લોકોને પાણી કાપ ભોગવવો પડશે. જેને લઈને અડધું રાજકોટ પાણી માટે ટળવળશે. તંત્ર દ્વારા આ અંગે સત્તાવાર યાદી બહાર પાડી શહેરીજનોને અવગત કરાયા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા વારંવાર પાણીકાપ મુકવામાં આવતો હોવાથી લોકોમાં તંત્રની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજકોટના કુલ 18 વોર્ડમાંથી 10 વોર્ડમાં પાણી નહી મળે
આવતીકાલે અડધા રાજકોટને પાણી નહીં મળે. રાજકોટના કુલ 18 વોર્ડમાંથી 10 વોર્ડમાં પાણી વિતરણ અટકાવી દેવા અંગે તંત્ર દ્વારા જાહેરાત કરાઇ છે. ટેક્નિકલ કારણોને લીધે વધુ 4 વોર્ડમાં પાણીકાપ ઉમેરવામાં આવ્યો છે. જેંને લઈને વોર્ડ ન.1, 2, 3, 4, 5, 7, 9,10 અને 14 માં રહેતા લોકોને પાણી નહીં મળે. જેમાં રાજકોટના રામેશ્વર પાર્ક, વિદ્યુનગર જજ બંગલો, આલાપ ગ્રીન સિટી, ગોવિંદનગર, ગોપાલનગર, ધરમનગર આવાસ યોજના, રવિ રેસિડેન્સી, ઋષિ વાટિકા, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારો ઉપરાં રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા, મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, હિરામણીનગર, વિતરાગ સોસાયટી, નેમીનાથ સોસાયટી, દીપક સોસાયટી સહિતના અનેક વિસ્તારો સમાવિષ્ટ છે વધુમાં જ્ઞાનજીવન સોસાયટી, જીવનનગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીનનગર, પારસ સોસાયટી, તિરૂપતિનગર, રાવલનગર, જલારામ પ્લોટ-1 સહિતના અનેક વિસ્તારો આવતીકાલની કામગીરીથી પ્રભાવિત થશે.
ભરઉનાળે રાજકોટ મનપા તંત્રને પાણી કાપનું શૂરાતન ઊપડ્યુ
રાજકોટના હડાળા સમ્પ ખાતે હડાળાથી બેડી તરફ પાઇપલાઇન જોડાણની કામગીરીને લઈને પાણીકાપ મુકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, એક બાજુ ઉનાળાની ઋતુને લઈને સૂરજ દાદા પોતાનો આકરો મિજાજ અપનાવી રહ્યા હોવાથી પાણીનો વપરાશ મોટા પાયે વધી રહ્યો છે. આવા ખરા ટાણે જ રાજકોટ મનપા તંત્રને પાણી કાપનું શૂરાતન ઊપડ્યુ છે. વારંવાર ટેક્નિકલ કારણોને લીધે પાણી કાપ લાદવામાં આવતો હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.