‘રાજનીતિ તો સમય સમય કા ખેલ હૈ’ આ પંક્તિ ઉક્ત થવા જઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના રાજકારણમાં. હાલના ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના 17 વર્ષ સુધી રાઈટ હેન્ડ ( જમણો હાથ) રહેલાં અને ભાજપ શાસિત રાજકોટ મ્યુનિશિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા ભાજપ તો ક્યારનું ય છોડી દીધું છે પણ હવે તેઓ આપ ( આમ આદમી પાર્ટી) માં જોડાશે.
નરેન્દ્રભાઈ પણ રાજકોટનો કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં રાજભાને જણાવતાં
એક સમયે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોદી ગુડબુકમાં સ્થાન ધરાવતાં અને રાજકોટનો કોઈ પણ નિર્ણય એક વખત જેમને પુછીને નરેન્દ્રભાઈ લેતાં એવા રાજભા ઝાલા ફરી રાજનીતિમાં એન્ટ્રી કરે તેવી પૂર્ણ સંભાવના છે. રાજભા ઝાલા સાથે ટેલિફોનિક વાત થયા મુજબ તેમણે VTVને જણાવ્યું કે હું ફરીથી રાજનીતિમાં એન્ટ્રી કરી રહ્યો છું. આમ આદમી પાર્ટીના નેતાઓએ મારો સંપર્ક કર્યો છે. અને આવનાર સમયમાં હું વિધિવત આપમાં જોડાઈશ.
વિજયભાઈને ગુરૂ માનનાર રાજભા આજે ભાજપની સામે
17 વર્ષ સુધી જેના વિજયભાઈને પોતાના ગુરૂ સ્થાને બેસાડ્યા હોય અને દર ગુરૂપૂર્ણિમાના દિવસે આધ્યાત્મિક ગુરૂ બાદ વિજયભાઈના ચરણ સ્પર્શ કર્યા હોય તેવા રાજભા ઝાલા હવે વિજયભાઈના જ નેતૃત્વ વાળી સરકારના વિરોધમાં ઊભા થશે. લગભગ 1997થી 2014 સુધી અર્થાત્ 17 વર્ષ સુધી વિજયભાઈનો પડતો બોલ જીલતાં રાજભા હવે આપમાં જોડાઈ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવશે.
નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવતા રાજકોટના એકમાત્ર નેતા તરીકે રાજભા ઝાલાનું નામ હતું. જ્યારે રાજભાને રાજકોટ મ્યુનિશિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનાવાયા ત્યારે ભાજપના લોકલ નેતૃત્વ અને સંગઠનમાં પણ નારાજગી ફેલાઈ હતી. આ ઉપરાંત એક વખતે રાજકોટના વિકાસનો કોઈ પણ નિર્ણય મોદી રાજભાને પુછીને અથવા જણાવીને જ લેતાં.
(અહીં આલેખાયેલી તમામ વાત રાજભા ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત થયા મુજબ છે)