લીકરકિંગ અને ભારતીય બેંકોને કરોડોનો ચૂનો લગાવીને દેશ બહાર ફરાર થયેલો વિજય માલ્યા હવે બેંકોને પોતાનું દેણું ચૂકવવા માટે તૈયાર થયો છે.
વિજય માલ્યાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપતા કહ્યું કે હું ભારતીય બેંકોનું તમામ દેણું ચૂકતે કરવા માટે તૈયાર છું પણ વ્યાજ નહીં ચૂકવું. .જો કે માલ્યાએ અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના લાંચકાંડના આરોપી ક્રિશ્ચિન મિસેલને લઈને કહ્યું કે મારો મામલો અલગ છે.
વિજય માલ્યાએ એક સાથે ત્રણ ટ્વીટ કર્યા અને બેંકોના સો ટકા રૂપિયા પરત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. સાથો સાથ માલ્યાએ એવું પણ કહ્યું કે ભારતીય મીડિયા અને રાજનેતાઓએ મારી સાથે પક્ષપાત કર્યો છે. ઉલ્લેખનીય છે કે માલ્યા પર લગભગ 9 હજાર કરોડ રૂપિયાનું બેંકનું દેવું છે.
માલ્યાએ એવું પણ કહ્યું કે કિંગફિશર એરલાઈન્સ ઈંધણના ઉંચા દરોનો શિકાર થઈ છે. કિંગફિશર એક શાનદાર એરલાઈન્સ છે. જેણે ક્રૂડ ઓઈલની 140 ડોલર પ્રતિ બેરલની ઉંચી કિંમતનો પણ સામનો કર્યો.
નુકસાન વધતું ગયું. બેંકો પાસેથી લીધેલા પૈસા આમાં જ વેડફાતા ગયા. હું બેંકોને સો ટકા રૂપિયા પરત કરવાની ઓફર કરૂ છું. મહેરબાની કરીને તેને સ્વીકારે..