રાજ્યમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે તો બીજી તરફ કોરોના ટેસ્ટની પણ સંખ્યા વધારવામાં આવી રહી છે. રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન, હોટસ્પોટ વિસ્તાર અને તમામ જિલ્લાઓથી લઇને ગામડાઓમાં પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. CHC અને PHC સેન્ટરમાં રેપીડ ટેસ્ટ કીટ ફાળવામાં આવી રહી છે. કોરોનાને નાથવા માટે વધુમાં વધુ રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે કોરોના માટે થતાં રેપીડ ડેસ્ટને લઇને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
રેપીડ ટેસ્ટ પર વિશ્વાસ ન કરાયઃ નોડલ ઓફિસર
રેપીડ ટેસ્ટ પર ભરોસો રાખ્યા વિના RT-PCR ટેસ્ટ કરાવું
નોડલ ઓફિસરે નાગરિકોને આપી સલાહ
રાજ્ય સરકારે રાજ્યમાં રેપીડ ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો છે. કોરોનાના ટેસ્ટનું પરિણામ અડધો કલાકમાં જ મળી જાય છે. ત્યારે કોરોનાના કેસ ઘટી રહ્યાંનું દર્શાવવા રેપિડ ટેસ્ટનો સહારો લીધો હોવાનું મનાઇ રહ્યું છે. તેવામાં હવે વડોદરાના નોડલ ઓફિસર ડો.શિતલ મિસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રેપીડ ટેસ્ટ પર વિશ્વાસ ન કરાય. રેપીડ ટેસ્ટ પર ભરોસો રાખ્યા વિના RT-PCR ટેસ્ટ કરાવવું જોઇએ. દર્દીની લાપરવાહી ફેફસાને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. રેપીડ ટેસ્ટમાં નેગેટિવ આવેલા વ્યક્તિ અસંખ્ય લોકોને સંક્રમિત કરી શકે છે.
રેપીડ ટેસ્ટ નેગેટિવ આવે તો ભયમુક્ત બનીને ફરવાની જરૂર નથીઃ શીતલ મિસ્ત્રી
ડૉ. શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિનો રેપીડ ટેસ્ટ નેગેટિવ આવે તો ભયમુક્ત બનીને ફરવાની જરૂર નથી, કારણ કે રેપીડ ટેસ્ટમાં નેગેટિવ આવેલા 15થી 65 ટકા દર્દીઓ RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિનો રેપીડ ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને તાત્કાલિક RT-PCR કરાવી લેવો હિતાવહ છે. જો આમ ન કરવામાં આવેતો દર્દીના ફેફસાને ખુબ જ મોટું નુકસાન થઈ શકે છે.
સાથે સાથે તેના સંપર્કમાં આવેલા અસંખ્ય લોકોને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે. જો કોઈ વ્યક્તિનો રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય અને શરદી,ખાંસી,તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો સ્થિતિ વધુ ગંભીર થાય એ પહેલા હોસ્પિટલમાં દાખલ થઈ તાત્કાલિક સારવાર લેવી જોઈએ.
મહત્વનું છે કે, રેપીડ કીટ દ્વારા દરેક દિવસે વધુને વધુ ટેસ્ટ કરવાની સુચના આપવામાં આવી છે. અત્યાર સુધી PCR ટેસ્ટ કરવામાં આવતો હતો. આ ટેસ્ટનું પરિણામ આવતા બેથી ત્રણ દિવસ નીકળી જતા હતાં. ત્યારે હવે સરકાર દ્વારા રેપીડ ટેસ્ટ પર ભાર મુકવામાં આવ્યો છે. આ ટેસ્ટને લઇને ડૉક્ટરો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ હજારો લોકો નેગેટિવ આવ્યા છતાં RT-PCR ટેસ્ટ કરવામાં આવતા નથી. નેગેટિવ આવેલા ગણ્યાગાંઠ્યા લોકોના જ રોજ RT-PCR ટેસ્ટ કરાય છે. RT-PCR ટેસ્ટમાં આમાંથી કોઇ 1-2 વ્યક્તિ પોઝિટિવ આવે છે. રેપીડમાં પોઝિટિવ આવેલાને હોમ આઇસોલેશનની ફરજ પાડવામાં આવી રહી છે. તંત્રની નીતિથી જાગૃત નાગરિકોને સંક્રમણ ફેલાવાનો ડર સતાવી રહ્યો છે.