ઉત્તર પ્રદેશના લખનૌ-આગ્રા એકસપ્રેસ વે પર આજે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં ચાર બાળકો સહિત પાંચનાં મોત થયાં છે અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. એક ભરચક વોલ્વો બસ ટ્રેકટર ટ્રોલી સાથે ટકરાતાં આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની દહેશત છે. આ અકસ્માત ઉન્નાવની નજીક એકસપ્રેસ વે પર થયો હતો. અકસ્માતનો ભોગ બનેલ વોલ્વો બસ હરિયાણાની શંભુનાથ ટ્રાવેલ્સની હોવાનું જણાવાયું છે.
બસમાં સવાર લોકોએ જણાવ્યું હતું કે તેઓ ટ્રાવેલ્સની બસ દ્વારા ગુરુગ્રામના મોહલા ખાલસા મંડીથી શુક્રવારે રાત્રે બિહારના મધુબની જવા નીકળ્યા હતા, પરંતુ આજે સવારે ઉન્નાવ નજીક બસ ટ્રેકટર ટ્રોલી સાથે ટકરાતાં ગમખ્વાર અકસ્માત થયો હતો.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે બસ એકસપ્રેસ વે પરથી પસાર થઇ રહી હતી ત્યારે ગામ તરફથી આવેલ તરબુચ ભરેલી એક ટ્રેકટર ટ્રોલી બસ સાથે ટકરાતાં બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઇ ગઇ હતી. મૃતકોમાં બસ યાત્રીઓનો સમાવેશ થાય છે. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે બસ પલટી ખાતાં પ્રવાસીઓની ચિચિયારીઓ સાંભળીને આજુબાજુુના ગામના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.