વડતાલ સ્વામિનારાયણ મંદિરની અનોખી પરંપરા હરિભક્તો માટે બનાવાયો અથાણાનો પ્રસાદ, ત્રણ મહિના બાદ હરિભક્તોને અપાશે આ પ્રસાદી
મૈસુર, મગસ, મોહનથાળ સહિતની મીઠાઇઓને પ્રસાદ નહીં
અથાણાનો પ્રસાદ 200 વર્ષની પરંપરા
સામાન્ય રીતે મંદિરોમાં લાડુ, પેંડા, મૈસુર, મગસ, મોહનથાળ સહિતની મીઠાઇઓને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે.પરંતુ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 200 વર્ષથી અનોખી પરંપરા ચાલી આવે છે.અને પરંપરા મુજબ અહીંયા આજે પણ હરિભક્તોને અથાણાનો પ્રસાદ આપવામાં આવે છે.
વર્ષોથી ચાલી આવે છે અથાણાંની પરંપરા
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી આવતી પરંપરા મુજબ અહીંયા લીંબુ-મરચાના અથાણાંને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને આપવામાં આવે છે.વડતાલધામમાં પહેલાના સમયમાં ભક્તો દૂર દૂરથી પગપાળા દર્શનાર્થે આવતા હતા.અને હરિભક્તો પોતાની સાથે જમવાનું ભાથું લાવતા હતા.જેઓ મંદિર પરિસરમાં બેસીને જમતા હતા.ત્યારે મંદિર તરફથી મરચાં અને છાસ આપવામાં આવતી હતી.ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.
1 લાખ 47 હજાર કિલો અથાણાંનો પ્રસાદ
મરચા-લીંબુનું અથાણું કેવી રીતે બને છે તે પણ જાણી લો. 90 હજાર કિલો મરચા અને 30 હજાર કિલો લીંબુ ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ, સુરત અને અન્ય સ્થળેથી આવે છે.મરચા અને લીંબુ-મીઠું-હળદરમાં ભેળવવામાં આવે છે. આ અથાણું તૈયાર કરવા માટે 200થી વધારે ભાઈ-બહેનો કામે લાગતા હોય છે. આ અથાણું તૈયાર કરીને 100થી વધુ કોઠીઓમાં ભરવામાં આવે છે.જેને બે મહિના સુધી આથવામાં આવે છે.આ વર્ષે પણ 90 હજાર કિલો મરચા, 30 હજાર કિલો લીંબુ, 24 હજાર કિલો મીઠું અને 3 હજાર કિલો હળદરનો ઉપયોગ કરીને 1 લાખ 47 હજાર કિલો અથાણું બનાવવામાં આવ્યું છે.
ત્રણ મહિના બાદ હરિભક્તોને પ્રસાદ અપાશે
વડતાલ મંદિરમાં તમામ કક્ષાના વિભાગો સંતોને સોંપવામાં આવ્યા છે.અને તે વિભાગના કામથી તે ઓળખાય છે.પરંતુ 50 થી 60 વર્ષ સુધી અથાણાંનું કામ સંભાળનાર સંત કૃષ્ણજીવન દાસજી સંપ્રદાયના અથાણાં સ્વામી તરીકે આજે પણ ઓળખાય છે.આ વર્ષે પણ મંદિરમાં 1 લાખ 47 હજાર કિલો અથાણાંનો પ્રસાદ બનાવાયો છે.અને પરંપરા અનુસાર અથાણાંના પ્રસાદને ત્રણ મહિના બાદ હરિભક્તોને આપવામાં આવશે.