ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વેક્સિનને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.
ભારતમાં 13 કરોડથી વધારે રસીના ડોઝ આપી દેવામાં આવ્યા
હવેથી ઓપન માર્કેટમાં રાજ્ય સરકાર અને પ્રાઇવેટ હોસ્પિ.ને મળશે વેક્સિન
સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વેક્સિન ડોઝ પર આપી જાણકારી
ભારતમાં કોરોના વાયરસની લહેર બની કહેર
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર સુનામી બનીને આવી છે તથા 146 જિલ્લાઓમાં એક સાથે કેસ વધતાં ચિંતામાં વધારો થયો છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે અને જુદા જુદા શહેરોથી ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હોસ્પિટલોમાં સુવિધાના અભાવે લોકો મરી રહ્યા છે અને પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અત્યારે સ્મશાનોમાં પણ લાંબુ વેઇટિંગ છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે કે દેશના 308 જિલ્લા એવા છે કે જ્યાં કોરોના વાયરસની પરિસ્થિતિ કાબૂમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ભારતમાં અત્યારે 21 લાખ 57 હજાર કોરોના વાયરસના કેસ એક્ટિવ કેસ છે જે ગયા વર્ષની સરખામણીએ બમણા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસના કારણે મૃત્યુદર સતત ઓછો થઈ રહ્યો છે.
ભારતમાં તેજીથી થઈ રહ્યું છે રસીકરણ
ભારતમાં કોરોના વાયરસની પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે તફાવત છે કે બીજી લહેરમાં ભારત પાસે વેક્સિનરૂપી હથિયાર છે. એવામાં ભારતની સરકાર દ્વારા વધુમાં વધુ લોકોને વેક્સિન આપી દેવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશમાં ત્યાર સુધીમાં 13 કરોડ લોકોને કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી છે જેમાં 30 લાખ લોકોને તો છેલ્લા 24 કલાકમાં જ રસી આપવામાં આવી છે. દેશના 87 ટકા મેડિકલ સ્ટાફને રસી આપી દેવામાં આવી છે.
મેડિકલ સ્ટોરમાં નહીં મળે વેક્સિન
ભારતમાં પહેલી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવશે તથા વેક્સિનના જથ્થામાંથી 50 ટકા જથ્થો ઓપન માર્કેટમાં આપવામાં આવશે જ્યારે 50 ટકા જથ્થો કેન્દ્ર સરકાર રાખશે. એવામાં એવો સવાલ ઊભો થયો હતો કે શું વેક્સિન હવે મેડિકલ સ્ટોર પર પણ મળી રહેશે? જેંઆ પર સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે વેક્સિન દવાની દુકાનો પર મળશે નહીં. આ સિવાય સરકાર રાજ્યોને વેક્સિન આપતી જ રહેશે અને સરકારી સેન્ટર પર પણ રસીકરણ થતું રહેશે. નોંધનીય છે કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રાઇવેટમાં રસી લેનારાઓએ પણ કોવિન-એપ પર જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
બંને ડોઝ લીધા બાદ કેટલા થયા પોઝિટિવ?
ભારતમાં ભારત બાયોટેકની કોવેક્સિનના કુલ 1.1 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે જેમાં પહેલી ડોઝ બાદ 4,208 જ્યારે બીજા ડોઝ બાદ 695 લોકો કોરોના પોઝિટિવ થયા છે. જ્યારે કોવીશિલ્ડ વેક્સિનના કુલ 11.6 કરોડ લોકોને ડોઝ આપવામાં આવ્યા જેમાં પહેલી ડોઝ બાદ 17, 145 જ્યારએ બીજા ડોઝ બાદ 5014 લોકો કોરોના પોઝિટિવ થયા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ :
ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2 લાખ 95 હજાર 41 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 2023 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ ભારતમાં એક દિવસમાં 1,67,457 લોકોએ કોરોના વાયરસને હરાવ્યો પણ છે અને સાજા થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધારે લોકોને કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી છે.