કોટાની સરકારી હોસ્પિટલમાં એક મહીનાની અંદર 104 બાળકોના મોત પર રાજસ્થાન સરકાર ઘેરાઇ ગઇ છે. ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે એમ કહીને છટકવાની કોશિશ કરી છે કે, CAA અને NRC જેવા મોટા મુદ્દાઓ પર દેશભરમાં ચાલી રહેલા માહોલથી ધ્યાન હટાવવા માટે કેટલાક લોકો આ મુદ્દાને ઉછાળી રહ્યા છે.
કોટાની સરકારી હોસ્પિટલમાં એક મહીનાની અંદર 104 બાળકોના મોત
અશોક ગેહલોતે કહ્યું, CAA અને NRC જેવા મોટા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા મુદ્દાને ઉછાળી રહ્યા છે
અશોક ગેહલોતનો દાવો, શિશુઓના મોતના આંકડામાં ગત કેટલાક વર્ષોની તુલનામાં ઘણો ઘટાડો આવ્યો
કોટાના જેકે લોન હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનો સિલસિલો બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને મામલામાં એક ઉચ્ચસ્તરીય ટીમનું ગઠન કર્યું છે. તેમા એમ્સ જોધપુરના વિશેષજ્ઞ ડૉક્ટર, હેલ્થ ફાઇનાન્સ એન્ડ રીજનલ ડાયરેક્ટર અને જયપુર હેલ્થ સર્વિસના લોકો સામેલ હશે. આ ટીમ શુક્રવારે કોટા સ્થિત જેકે લોન સરકારી હોસ્પિટલ પહોંચશે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દાવો કર્યો છે કે આ વર્ષે શિશુઓના મોતના આંકડામાં ગત કેટલાક વર્ષોની તુલનામાં ઘણો ઘટાડો આવ્યો છે. તેઓએ પોતાની સફાઇમાં કહ્યું કે, કેટલાક લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. જે પ્રકારે મીડિયામા ચલાવાઇ રહ્યું છે, તેમા કોઇ દમ નથી. આજે મેં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી છે અને તેમને કહ્યું છે કે તેઓ જાતે આવીને વ્યવસ્થા જુએ. મેં પહેલા પણ કહ્યું હતું કે ગત 5-6 વર્ષની અંદર સૌથી ઓછા આંકડા હવે આવી રહ્યા છે, એટલી સારી વ્યવસ્થા અમે કરી રાખી છે.
આ દરમિયાન તેઓએ કહ્યું, નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ આખા દેશમાં જે માહોલ બન્યો છે, તેના પરથી ધ્યાન હટાવવા માટે આ મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે.
ગહેલોત અનુસાર, હર્ષવર્ધન ખુદ એક ચિકિત્સક છે તેથી જો તેઓ કોટાની હોસ્પિટલની મુલાકાત લે છે તો, એ લોકો માટે પણ સ્થિતિ સ્પષ્ટ થશે જે જાણ્યા વિના પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ મુદ્દા પર વિપક્ષી પાર્ટીઓ સતત ગહલોત સરકાર પર નિશાન સાધી રહી છે.