સરકાર તરફથી મોબાઈલ કોલિંગની દિશામાં એક મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા ટૂંક સમયમાં કેવાઈસી આધારિત પ્રક્રિયા શરુ કરવા જઇ રહી છે.
સરકાર મોબાઈલ કોલિંગની દિશામાં એક મોટો ફેરફાર કરી રહી છે
ટ્રાઈ ટૂંક સમયમાં કેવાઈસી આધારિત પ્રક્રિયા શરુ કરશે
કૉલ કરનારા વ્યક્તિનું નામ તમારા મોબાઈલ સ્ક્રીન પર દેખાશે
કોલિંગ દરમ્યાન દેખાતુ નામ બિલ્કુલ સાચુ હશે
આ પ્રક્રિયાથી કૉલ કરનારા વ્યક્તિનું નામ તમારા મોબાઈલ સ્ક્રીન પર દેખાશે. જે TrueCallerની જેમ માલૂમ પડે છે. પરંતુ હકીકતમાં આવુ નથી. TrueCaller પર દેખાતા નામમાં ફ્રોડની શક્યતા રહેલી છે. પરંતુ સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી કેવાઈસી આધારિત પ્રક્રિયા લાગુ થયા બાદ કોલિંગ દરમ્યાન દેખાતુ નામ બિલ્કુલ સાચુ હશે. જેના માટે મોબાઈલમાં વ્યક્તિનો નંબર સેવ હોવો જરૂરી નહીં હોય. ટ્રાઈ તરફથી આ મામલે દૂરસંચાર વિભાગની સાથે વિચાર-વિમર્શ શરૂ કરી દેવામાં આવ્યો છે. ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાએ કહ્યું કે તેના પર વિચાર-વિમર્શ થોડા મહિનામાં શરૂ થવાની આશા છે.
કોલ કરનાર વ્યક્તિ નહીં છુપાવી શકે પોતાની ઓળખ
આ નવી કેવાઈસી આધારિત પ્રક્રિયા દૂરસંચાર વિભાગના માપદંડો અનુસાર થશે. કેવાઈસી આધારિત પ્રક્રિયા કૉલર્સને તેના કેવાઈસી (નો યોર કસ્ટમર) મુજબ ઓળખવામાં મદદ કરશે. આ પ્રક્રિયામાં ટેલિકૉમ કંપનીઓ પણ બધા ગ્રાહકો પાસેથી કેવાઈસીના નામે સત્તાવાર નામ, એડ્રેસ નોંધાવવુ પડશે. આ સિવાય દસ્તાવેજ તરીકે ઓળખ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પછી વિજળી બિલની રસીદ લેવી પડશે. જેનાથી ફ્રોડની શક્યતા ખૂબ ઓછી થશે. કેવાઈસી આધારિત પ્રક્રિયા લાગુ થયા બાદ કૉલ કરનાર વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી શકશે નહીં.