ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે ફોર્મ ભરવા માટેનો આ છેલ્લો દિવસ રાજકીય રીતે ખૂબ ગરમ રહ્યો. બન્ને પક્ષોએ પોતાના હિસ્સાના 2 ઉમેદવારો સિવાય ત્રીજો ઉમેદવાર ઉભો રાખીને હરિફ પક્ષ પર દબાણ ઉભું કરવાનો પ્રયત્ન કર્યો હતો.
રાજ્યસભાની ચૂંટણી માટે મનસુખ માંડવીયા અને પરશોત્તમ રૂપાલાએ પક્ષના અગ્રણીઓ અને ટેકેદારો સાથે ગાંધીનગરમાં ફોર્મ ભર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં માંડવીયા અને રૂપાલાએ ઉમેદવારી નોંધાવી છે. તો ભાજપે રાજયસભાના ત્રીજા ઉમેદવાર તરીકે કિરીટસિંહને જાહેર કર્યા. કિરીટસિંહ લિંબડીના પૂર્વ ધારાસભ્ય છે.
આ તરફ રાજ્યસભામાં ઉમેદવારી ફોર્મના સસ્પેન્સ વચ્ચે નારણ રાઠવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મારા ફોર્મને લઈને કોઈ સમસ્યા નથી. અને ડોક્યુમેન્ટનો કોઈ પણ પ્રશ્ન નથી. એક તબક્કો કોંગ્રેસ તરફથી રાજીવ શુકલા ઉમેદવારી નોંધાવશે તેવા સમાચાર પણ આવ્યા હતા.
જ્યારે વિવાદો વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકે ફોર્મ ભર્યુ છે. ફોર્મ ભરતા સમયે ભરતસિંહ સોલંકી પરેશ ધાનાણી શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. બીજી તરફ કોંગ્રેસે અપક્ષમાંથી પી.કે વાલેરાને મેદાનમાં ઉતાર્યા છે. પી.કે વાલેરા કોંગ્રેસના નેતા છે. જો નારણ રાઠવાનું ફોર્મ નહીં ભરાય તો પી.કે.વાલેરા ઉમેદવાર બનશે. નારણ રાઠવાના નો-ડ્યુમાં વિલંબ થતા અપક્ષ ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે.