સૌરવ ગાંગુલીની જગ્યાએ જય શાહ BCCIના આગામી અધ્યક્ષ બની શકે છે, જય શાહ હાલમાં બોર્ડના સચિવ છે. આ સિવાય રાજ્યસભાના સભ્ય રાજીવ શુક્લા સચિવ બનવાની રેસમાં સૌથી આગળ છે.
જય શાહ બની શકે છે BCCIના નવા અધ્યક્ષ
ચૂંટણી પહેલા બેઠકોનો દૌર યથાવત્
18મી ઓક્ટોબરે યોજાશે ચૂંટણી
જય શાહ બની શકે છે BCCI અધ્યક્ષ
ગુરુવારે દિલ્હીમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના દિગ્ગજોની બે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ પછી રવિવારે પણ એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં લગભગ નક્કી થઈ ગયું છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને વર્તમાન સચિવ જય શાહ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની જગ્યાએ BCCI અધ્યક્ષ બની શકે છે. BCCIના વર્તમાન ઉપાધ્યક્ષ અને કોંગ્રેસના રાજ્યસભા સભ્ય રાજીવ શુક્લા સચિવ બનવાની રેસમાં સૌથી આગળ છે.
તમામ દિગ્ગજો બેઠકમાં રહ્યાં હાજર
ગુરુવારે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, પૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસન, આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ, પૂર્વ સચિવ નિરંજન શાહ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ બેઠકમાં હાજરી આપી હતી. આ પૈકી મોટાભાગના દિગ્ગજ લોકો પણ રવિવારે યોજાયેલી બેઠકમાં સામેલ થયા હતા. છેલ્લે યોજાયેલ મીટીંગમાં એક મોટા મંત્રીએ બધાના મંતવ્યો જાણ્યા હતા. રવિવારે દરેકને જણાવવામાં આવ્યું હતું કે કોણ કયા પદ માટે નોમિનેટ કરશે. જો કે, જ્યાં સુધી કોઈને પદ ન મળે ત્યાં સુધી BCCIની ચૂંટણીમાં કોઈપણ ફેરફાર શક્ય છે. આવું છેલ્લી ઘણી ચૂંટણીઓમાં થતું જોવા મળ્યું છે.
સૌરવ ગાંગુલીને નહીં મળે કોઈ પદ
એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું હતુ કે આ વખતે સૌરવ ગાંગુલીને બીસીસીઆઈમાં કોઈ પદ નહીં મળે કારણ કે બીજેપી નેતૃત્વ તેમનાથી નારાજ છે. કર્ણાટકથી આવી રહેલી 1983ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય રોજર બિન્ની ઉપરાંત દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી, ઓડિશા ક્રિકેટ એસોસિએશનના સંજય બેહેરા, હરિયાણા ક્રિકેટ એસોસિએશનના અનિરુદ્ધ ચૌધરી. અને આસામ ક્રિકેટ એસોસિએશનના કોઈપણ વ્યક્તિને પદ આપવામાં આવી શકાય છે.
આ દિગ્ગજોએ ચૂંટણી ન લડવાનો કર્યો નિર્ણય
વર્તમાન જોઈન્ટ સેક્રેટરી જયેશ જ્યોર્જ અને આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ પણ આગામી ચૂંટણી નહીં લડે. એવા પણ સમાચાર છે કે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અને વર્તમાન ખજાનચી અરુણ સિંહ ધૂમલે પણ ચૂંટણી ન લડવાનો નિર્ણય લઈ શકે છે. BCCIની ચૂંટણી 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે. 11 અને 12 ઓક્ટોબરે નોમિનેશન લેવામાં આવશે. 13 ઓક્ટોબરે અરજીઓની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવાર 14 ઓક્ટોબર સુધી પોતાનું નામ પાછું ખેંચી શકશે. આ પછી, યોગ્ય નામાંકન કરનારાઓની યાદી 15 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. પરિણામ 18 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. તમામ પ્રક્રિયા સર્વસંમતિથી જ થશે. આનો અર્થ એ છે કે જે પણ નામાંકન કરશે તેની જીત નિશ્ચિત હશે.