ગીર-સોમનાથના માઢવાડ ગામમાં શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ઘટના છે માઢવાડ ગામની પ્રાથમિક શાળાની. જ્યાં શિક્ષકોની બેદરકારીના કારણે ધોરણ 1ના બાળકોને ક્લાસ રૂમમાં પુરાઈ રહેવું પડ્યું. શાળાના શિક્ષકોને ઘરે જવાની એટલી તો ઉતાવળ હતી કે ધોરણ 1માં અભ્યાસ કરતા 20 બાળકોને ક્લાસ રૂમમાં જ પૂરીને બહારથી લોક મારીને જતા રહ્યા.
અન્ય એક બેદરકારી એ પણ સામે આવી છે કે આ ધોરણ 1ના વિદ્યાર્થીઓને ધોરણ 8ના બે વિદ્યાર્થી ભણાવી રહ્યા હતા. જોકે આ મામલે જ્યારે બાળકોના પરિવારજનોને જાણ થઈ ત્યારે બાળકોને રૂમનો દરવાજો બંધ હોવાથી રૂમનીબારી તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.
અહીં સવાલ શિક્ષણ વિભાગ પર અને આજના શિક્ષકો પર પણ ઉઠી રહ્યા છે. બાળકોને અભ્યાસ કરાવવાના બદલે વિદ્યાર્થીઓ પાસે અભ્યાસ કરાવી રહ્યા છે. આ સાથે જ ઘરે જવાની ઉતાવળમાં વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં પૂરી દેવા શું આવી જ રીતે શિક્ષકો સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે. જો આવી જ સ્થિતિ હોય તો બાળકોનું ભવિષ્ય શું ? આવા શિક્ષકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે આવી ઘટના થોડા સમય પહેલા પણ પ્રકાશમાં આવી હતી કે અરવલ્લી જિલ્લની એક શાળામાં બાળક સ્કૂલમાં જ હતો અને શિક્ષકે શાળાને બહારથી તાળું મારી દીધું હતું. જો કે બાળક ઘરે નહીં આવતા વાલીએ આખી રાત તપાસ કરી હતી. અંતે જ્યારે બીજા દિવસે સવારે શાળા ખુલી ત્યારે ખબર પડી કે આખી રાત બાળક સ્કૂલમાં જ ફસાઇ ગયો હતો. શિક્ષકે ઘરે પહોંચવાની ઉતાવળમાં તપાસ્યું નહીં અને બાળકે આખી રાત શાળામાં જ પસાર કરવી પડી.
ત્યારે તાજેતરમાં ગીર-સોમનાથના માઢવાડ ગામની શાળામાં એક સાથે 20 વિદ્યાર્થીઓ શાળામાં પુરાઇ ગયા જતાં ગ્રામજનોએ ઉતાવળીયા શિક્ષકો પર ફિટકાર વરસાવી હતી અને આ પ્રકારની બેદરકારી સામે કડક પગલા લેવામાં આવે તેવી લોકમાંગ પણ ઉચ્ચારી હતી.