તૌકતે વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આખી રાત તાંડવ મચાવ્યો છે જેમાં સૌથી વધારે નુકસાન અમરેલી, દીવ-ઉનામાં જોવા મળ્યું છે.
તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં વેર્યો વિનાશ
હજારો વૃક્ષો, વીજપોલ પડી ભાંગ્યા
3 લોકોએ ગુમાવ્યા જીવ
ગુજરાત પર ત્રાટક્યું તૌકતે
ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે. કોરોના વાયરસના સંકટની વચ્ચે તૌકતે વાવાઝોડું તબાહી બનીને આવ્યું છે, ઉનાથી ગુજરાતમાં દાખલ થયેલા વાવાઝોડાએ અમરેલી, દીવ, જૂનાગઢ, ગીર સોમનાથમાં સૌથી વધારે તારાજ જોવા મળી હતી. આખી રાત રાજ્યના કેટલાય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો હતો જ્યારે મહુવા સહિત આખા ભાવનગરમાં પણ આ જ પરિસ્થિતિ હતી. મંગકવારે બપોરના 12 વાગ્યાની લેટેસ્ટ અપડેટ અનુસાર વાવાઝોડું હવે અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે અને મધ્ય ગુજરાતથી થઈને વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધશે.
વાવાઝોડાએ વેર્યો વિનાશ
વાવાઝોડાના કારણે આખા સૌરાષ્ટ્રમાં વિનાશ વેરાયો છે. સૌરાષ્ટ્રમાં હજારો વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા જ્યારે હોર્ડિંગ્સ હોર્ડિંગ્સ અને પેટ્રોલ પંપના શેડ ઊડી ગયા હતા. રાજુલા, વેરાવળ તથા ઉનામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા જ્યારે કેટલી જગ્યાઓ પર વીજ પોલ પણ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. રાજ્યમાં આશરે 2 લાખ લોકોનું વાવાઝોડાના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
40 હજાર વૃક્ષો પડ્યા, ગામોમાં વીજળી ગૂલ
CM રૂપાણીએ આપેલ માહિતી મુજબ ગુજરાતમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની માહિતી આપતા કહ્યું કે અગાઉ કરવામાં આવેલ તૈયારીના કારણે મોટી દુર્ઘટના થઈ નથી પરંતુ 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સીએમ રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાના કારણે 40 હજાર વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે 1081 થાંભલાઑ પણ પડી ભાંગ્યા છે, વાવાઝોડાના કારણે 196 રસ્તાઓ બંધ થઈ ગયા હતા જ્યારે 2437 ગામમાં વીજ પુરવઠો કપાયો છે જેમાંથી 484 ગામમાં ફરીથી વીજળી પહોંચવા લાગી છે.
મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ
વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ તથા અમરેલીમાં નોંધાયો છે. બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7.5 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ , ઉનામાં 7 ઇંચ, સાવરકુંડલામાં 6.5 ઇંચ વરસાદ, પાલીતાણામાં 6 ઇંચ, અમરેલીમાં 5 ઇંચ વરસાદ, મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીરસોમનાથમાં તૌક્તે વાવાઝોડાએ સર્જી તારાજી
વેરાવળ બંદર પર લાંગરેલી બોટો રાતે ફંગોળાઈ, અનેક બોટો બંદરમાંથી ફરી દરિયામાં પહોંચી ગઈ, ત્રણેક બોટ સોમનાથ મહાદેવ મંદિર નજીક પહોંચી
દીવ આખામાં દરિયાનું પાણી ઘૂસ્યુ
દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે.
રાજુલામાં 175 કિમીની ઝડપે ફૂંકાયો પવન
નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.
મહુવામાં પણ ભયંકર પરિસ્થિતિ
તૌકતે વાવાઝોડાને પગલે ભાવનગરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના મહુવામાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીગમાં સામે આવ્યું છે કે મહુવામાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી ભરાઇય ગયા છે. આખી રાતમાં મહુવામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે પાલીતાણામાં પણ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.