ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરને મદદ કરવા સચિન તેંડુલકરે 'પેડઅપ' કર્યું છે. હકીકતમાં, આ બંનેએ સંયુક્ત રીતે બાંદ્રા પ્લોટ પર ક્રિકેટ એકેડમી શરૂ કરવાની દરખાસ્ત કરી છે. આ પ્લોટ 31 વર્ષ પહેલાં સુનીલ ગાવસ્કરના ટ્રસ્ટને ફાળવવામાં આવ્યો હતો, પરંતુ જો લાંબા સમય સુધી કોઈ બાંધકામ ન થાય તો મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) 'ગાવસ્કર ટ્રસ્ટ' પાસેથી પ્લોટ પાછો લેવા માંગે છે. હવે સચિન આ મામલે ગાવસ્કરને મદદ કરવા આગળ આવ્યો છે.
ગાવસ્કરની મદદ કરવા સામે આવ્યો સચિન તેંડુસકર
બંને સાથે મળીને શરૂ કરવા માંગે છે ક્રિકેટ એકેડમી
આ મામલે સચિન-ગાવસ્કર સીએમ ઉદ્ધવને મળ્યા
રંગશારદા સભાગારની પાસે 21,348 ચોરસ ફૂટનો પ્લોટ સુનિલ ગાવસ્કર ક્રિકેટ ફાઉન્ડેશન ટ્રસ્ટને એક ઈનડોર ક્રિકેટ એકેડમી સ્થાપિત કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ઘણાં વર્ષો સુધી કોઈ જ કામ થયું નહીં. જેથી ડિસેમ્બરમાં ઓથોરિટીએ રાજ્ય સરકારથી એવું કહીને પ્લોટ પાછો લેવાની માંગણી કરી કે ગાવસ્કર ટ્રસ્ટની સાથે ડીલ ખતમ થઈ ગઈ છે.
સચિન-ગાવસ્કર સીએમ ઉદ્ધવને મળ્યા
બીજી તરફ, લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે માસ્ટર બ્લાસ્ટર સાથે બિઝનેસ પાર્ટનર બનવાની તૈયારી કરી લીધી છે. આ સંદર્ભે, તેંડુલકરે 24 ડિસેમ્બરે ગાવસ્કરની સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકર સાથે મુલાકાત કરી હતી. ગયા મહિને ગાવસ્કરે મંત્રી આદિત્ય ઠાકરેને મળ્યા હતા અને જૂનિયર ઠાકરે (આદિત્ય ઠાકરે)એ (MHADA)થી પૂછ્યું કે આ બંને ક્રિકેટના મહાનાયક બાંન્દ્રાના પ્લોટ પર એકેડમી સ્થાપિત કરી શકશે કે નહીં.
ગાવસ્કર અને સચિન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી
આ વિશે ન્યૂઝીલેન્ડમાં કોમેન્ટ્રી કરી રહેલાં ગાવસ્કરે હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી અને સચિન સાથે પણ વાત થઈ શકી નથી. જ્યારે રાજ્યના ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, હાલ આ વિશે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકર ઈંગ્લિશ કાઉન્ટી મિડિલસેક્સની સાથે નવી મુંબઈમાં પહેલાંથી જ ક્રિકેટ એકેડમી ચલાવી રહ્યા છે.
60 વર્ષ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો છે
મ્હાડાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, 3 વર્ષની અંદર ગાવસ્કર ટ્રસ્ટે એકેડમીનું નિર્માણ કરવાનું હતું. ટ્રસ્ટને 60 વર્ષ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો અને 1999, 2002 અને 2007માં નિયમ અને શરતોમાં સુધારો કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટને બહારના સ્ત્રોતોથી નાણાં એકત્ર કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 2011માં મ્હાડાને ફરિયાદો મળી હતી. ટ્રસ્ટ વિરુદ્ધ કાર્યવાહીની પણ દરખાસ્ત કરવામાં આવી હતી. પ્લોટ અલોટ કર્યાને 3 દાયકા થઈ ગયા છે અને હજી સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી અને પ્લોટનો ઉપયોગ થઈ રહ્યો નથી.