ચૂંટણી પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાની સ્પષ્ટતા. કહ્યું 'હું કોંગ્રેસ પક્ષનો છું અને કોંગ્રેસમાં જ રહીશ.'
રાજીનામાની અટકળો વચ્ચે સુખરામ રાઠવાની સ્પષ્ટતા
હું કોંગ્રેસ પક્ષનો છું અને કોંગ્રેસમાં જ રહીશ: સુખરામ રાઠવા
મને અગાઉ પણ ભાજપે લાલચ આપી હતી: સુખરામ રાઠવા
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ મોહન રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ રાજીનામું આપી ભાજપમાં જોડાશે એવી અટકળો વહેતી થઇ હતી. ત્યારે આ અટકળો વચ્ચે સુખરામ રાઠવાએ VTV સાથેની EXCLUSIVE વાતચીતમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસના છે અને કોંગ્રેસમાં જ રહેશે.
ટિકિટની નારાજગી હોઇ શકે છે પરંતુ ઘરની અંદરની વાત છે: સુખરામ રાઠવા
અત્રે તમને જણાવી દઇએ કે, ગઇકાલે જ કોંગ્રેસના MLA પદ પરથી મોહન રાઠવાએ રાજીનામું આપતા હવે વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઇ હતી. મહત્વનું છે કે, મોહનસિંહ રાઠવા અને સુખરામ રાઠવા વચ્ચે ઘનિષ્ઠ પારિવારિક સબંધો છે. એવામાં બીજી બાજુ આદિવાસી નેતાઓને તોડવા માટેનો પણ ભાજપ માસ્ટર પ્લાન કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે વિપક્ષ નેતા સુખરામ રાઠવા રાજીનામાની અટકળો મુદ્દે સુખરામ રાઠવાએ VTV પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ. મને અગાઉ પણ ભાજપે લાલચ આપી હતી. મારા રાજીનામાની વાત ઉપજાવી કાઢેલી છે. ટિકિટની નારાજગી હોઇ શકે છે પરંતુ ઘરની અંદરની વાત છે. ભાજપે મારો કોઈ સંપર્ક નથી કર્યો. ભાજપ મારો સંપર્ક કરશે પણ નહીં.'
ભાજપના 150 ના લક્ષ્યમાં સૌથી નબળી કડી આદિવાસી મતદારો
2022ની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય માટે ઘણી મહત્વની છે અને આ માટે રાજકીય પક્ષો દરેક મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં 27 વર્ષથી સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી એ આ વખતે 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. જે લક્ષ્ય ભારતીય જનતા પાર્ટી આજ સુધી હાંસલ કરી શકી નથી. પરંતુ ભાજપના આ લક્ષ્યમાં સૌથી નબળી કડી આદિવાસી મતદારો છે. જ્યાં 2017માં તેનો જાદુ નહોતો ચાલ્યો. આવી સ્થિતિમાં આ વખતે ભાજપ ગૌરવ યાત્રા દ્વારા તે 27 બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જ્યાંથી તેને ગત વખતે માત્ર 9 સીટો જ મળી હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટી કોઈ રિસ્ક લેવા માંગતી નથી, સાથે જ ગત વખતની ચૂંટણીમાં થયેલી ભૂલો પુનરાવર્તન કરવા માંગતી નથી. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં લગભગ 89 લાખ આદિવાસી વસ્તી છે. જે કુલ વસ્તીના લગભગ 15 ટકા છે.
આદિવાસી વોટ બેંક પર નજર
ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં મતદારોનું ધ્યાન પોતાની તરફ કરવા માટે ગયા મહિને ઓક્ટોબરમાં મહેસાણાથી ગૌરવ યાત્રા શરૂ કરી ચૂકી છે. આ અંતર્ગત 5 રૂટ પરથી યાત્રા કાઢવામાં આવી છે. લગભગ 500 કિલોમીટરની સૌથી લાંબી ગૌરવ યાત્રા ઉનાઈથી અંબાજી સુધી કાઢવામાં આવી છે. આ રૂટ પર જ સૌથી વધુ આદિવાસી મતદારો ધરાવતી વિધાનસભાઓ આવે છે. આ ઉપરાંત ઉનાઈથી ફાગવેલ રૂટ પણ આદિવાસી વિસ્તાર તરીકે જાણીતો છે. ભાજપનો પ્રયાસ આદિવાસી સમાજને પોતાની તરફ આકર્ષવાનો છે, જે પરંપરાગત રીતે કોંગ્રેસના મતદારો રહ્યા છે. 2017ની ચૂંટણીમાં અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત 27 બેઠકોમાંથી ભાજપ માત્ર 9 બેઠકો જીતી શક્યું હતું. જ્યારે કોંગ્રેસે 16 અને ભારતીય ટ્રાયબલ પાર્ટીએ 2 બેઠકો જીતી હતી.
ગઇકાલે જ મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ચૂંટણી અગાઉ કોંગ્રેસના કદાવર નેતા ગણાતા એવા ધારાસભ્ય મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓએ ગઇકાલે કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. ભાજપ નેતા દિલીપ સંઘાણી, પ્રદીપસિંહ વાઘેલા સહીત ભાજપ નેતાઓએ તેઓને કેસરીયો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિસાવદરના ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાઇ ગયા છે. બાદમાં આજે આદિવાસી સમાજમાં બહોળી ચાહના ધરાવતા નેતા મોહન રાઠવા પણ ભાજપના રંગે રંગાતા કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જન્મી છે.
ગુજરાતમાં આદિવાસી બેઠકનું ગણિત
રાજ્યમાં 27 બેઠક આદિવાસી માટે અનામત
ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા 1 કરોડ જેટલી
રાજ્યમાં આશરે 82 લાખ આદિવાસી મતદાતા
40 બેઠક ઉપર આદિવાસી મતદારનું પ્રભુત્વ
2012માં કોંગ્રેસે ગુજરાતમાં 15 આદિવાસી બેઠક જીતી હતી
2012માં ભાજપે 10 આદિવાસી બેઠક જીતી હતી
2012ની ચૂંટણીમાં JDUના ફાળે બે આદિવાસી બેઠક આવી હતી