રેસિડેન્ટ ડોક્ટરો પોતાની પાંચ માગોને લઈ હડતાળ પર ઉતર્યા છે , તો સામે સરકાર તેમની માગો ખોટી ઠેરવી રહી છે.
રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને લઇ સરકાર અડગ
રાજકોટના 29 ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા આદેશ
ડોક્ટરો માગ છોડી દે અને કામે લાગી જાયઃ CM રૂપાણી
રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં રેસિડેન્ટ ડોક્ટરોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. પોતાની માગણીઓને લઈ છેલ્લા 3 દિવસથી રસ્તા પર ઉતરેલા તબીબો સામે હવે સરકાર એક્શન લેવાના મૂડમાં દેખાઈ રહી છે. જામનગર બાદ રાજકોટમાં પણ ડોકટરોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ આપી દેવાયા છે. રાજકોટના 29 ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાનો ઓર્ડર તંત્ર તરફથી આપી દેવામાં આવ્યો છે. રેસિડેન્ટ ડોક્ટરો સોમવારથી વધુ ઉગ્ર રીતે સરકાર સમક્ષ માંગ કરે તેવી ભીતિ સેવાઇ રહી છે.
CM રૂપાણીનો કડક આદેશ
રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાલનો મામલે સરકાર પણ અડગ વલણ રાખી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડોકટરોની માંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણી આદેશ આપતા કહ્યું કે ડોકટરોની માગ ખોટી છે, ડોક્ટરો માગ છોડી દે અને કામે લાગી જાય.
શું છે સમગ્ર મામલો?
કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો છે.
કઈ માંગને લઈને ડોકટરો હડતાળ પર?
કોરોનાકાળમાં દેશના તબીબોએ ખડેપગે મોરચો સંભાળ્યો હતો. હાલમાં કોરોનાકાળ કાબૂમાં આવ્યા બાદ હવે તબીબો અને સરકાર સામ સામે આવ્યા છે. હાલમાં રાજ્યભરમાં જુનિયર તબીબો હડતાળ પર છે. તેઓ પોતાની પાંચ માગોને લઈ હડતાળ પર ઉતર્યા છે. આ માગોની વાત કરીએ તો રેસિડન્ટ પાસ થયેલા તબીબોની જૂના જી.આર મુજબ ડ્યુટી ગણવી. જો સરકાર નવા જી.આર મુજબ ગણે તો વિદ્યાર્થી જે જગ્યાએ પાસ આઉટ થયા હોય ત્યાં જ ડ્યૂટી આપવી.7મા પગાર પંચ પ્રમાણે ડ્યૂટી ગણવામાં આવે. બોન્ડ પ્લસ ડ્યૂટી કમ્બાઈન્ડ ગણવમાં આવે. અને રાજકોટમાં તબીબોનું હેલ્થ કમિશનરે અપમાન કર્યુ છે તે માટે માફી માગે અથવા રાજીનામું આપે તેવી માગણીઓ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે. હાલ તો તબીબો પોતાની માગોને લઈને મક્કમ છે ત્યારે આવનારા સમયમાં તબીબો અને સરકાર વચ્ચે વધુ ઘર્ષણ થાય તો નવાઈ નહીં