કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બંગાળ પ્રવાસ ખૂબ મોટા વિવાદમાં આવી ગયો છે, અમિત શાહ પર આદિવાસીઓના અપમાનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
મિશન બંગાળ પર બે દિવસનો અમિત શાહનો પ્રવાસ
અમિત શાહે જ્યાં મૂર્તિ પર પુષ્પાંજલિ આપી ત્યાં સ્થાનિકોએ ગંગાજલ છાંટ્યું
અમિત શાહ બંગાળની સંસ્કૃતિની અજાણ છે : TMC
ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે બે દિવસીય બંગાળ પ્રવાસ પર છે અને પહેલા જ દિવસ પર તેમણે આદિવાસી વિસ્તારમાં પ્રતિમા પર ફૂલ અર્પણ કર્યા.
આઝાદીની લડાઈમાં માત્ર 25 વર્ષની ઉંમરમાં બિરસા મુંડાની હત્યા કરવામાં આવી હતી. આદિવાસીઓને પોતાની તરફ આકર્ષવા માટે અમિત શાહના કાર્યક્રમથી વિવાદ શરુ થઇ ગયો છે. જે મૂર્તિ પર ભાજપ નેતાઓ હાર અર્પણ કરી રહ્યા હતા તે મૂર્તિ બિરસા મુંડાની નહીં પણ અન્ય એક આદિવાસી નેતાની હતી.
ભાજપ નેતાઓને આ મુદ્દે જેવી જ જાણ થઇ ભાજપ નેતાઓએ ઉતાવળમાં ત્યાં બિરસા મુંડાની તસવીર મંગાવી અને મૂર્તિની નીચે પગ પાસે તે મૂર્તિ મૂકીને ફૂલ અર્પણ કરવામાં આવ્યા. કાર્યક્રમ બાદ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુકે આજે બંગાળમાં બાંકુરામાં પ્રસિદ્ધ આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી.
આદિવાસીઓના એક સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે ક ગુરુવારની આ ઘટના બાદ આદિવાસી સમાજ પોતે છેતરાઈ ગયો હોય તેવું અનુભવી રહ્યો છે. સંગઠને આ ઘટનાને બિરસા મુંડાનું અપમાન ગણાવ્યું અને આજે સ્થાનિક આદિવાસી સમુદાય દ્વારા મૂર્તિને શુદ્ધ કરવા માટે ગંગાજળ છાંટવામાં આવ્યું.
નોંધનીય છે કે આ મુદ્દે હવે મમતા બેનર્જીની પાર્ટીના નેતાઓ પણ ખૂબ સક્રિય થઇ ગયા છે અને અમિત શાહ પર સવાલ ઉઠાવી રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળની સંસ્કૃતિથી અજાણ છે અને ભગવાન બિરસા મુંડાની એક ખોટી મૂર્તિને માળા પહેરાવીને અપમાનિત કર્યું છે અને તેમની તસવીરને પગમાં રાખવામાં આવી છે.