સૌરાષ્ટ્રમાં મગફળી કૌભાંડ બાદ હવે તુવેરનું કૌભાંડ સામે આવ્યુ છે. સૌરાષ્ટ્રમાં સતત કૌભાંડ બહાર આવતા રાજ્ય સરકારની ઉંઘ હરામ થઈ છે. આ મામલે રાજ્યકક્ષાના મંત્રી જયેશ રાદડિયા, કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, લલિત વસોયા અને કોંગ્રેસના સભ્ય પાલભાઈ આંબલિયાએ નિવેદન આપ્યું છે. જોઇએ આ અહેવાલમાં.
જૂનાગઢના કેશોદમાં તુવેર કૌભાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે તુવેર ભેળવીને મળતિયાઓને માલામાલ કરવાનું આ કૌભાંડ છે. અનેકવાર રજૂઆત છતાં તેનું કોઈ નિરાકરણ નથી આવતું. સરકારની મિલીભગતથી જ કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો બીજી તરફ લલિત વસોયાએ કૌભાંડ મોટા માથાનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.
તો રાજ્યકક્ષાના મંત્રી જયેશ રાદડિયાએ કહ્યુ કે, કોઈપણ કૌભાંડીને છોડવામાં નહીં આવે. હલકી ગુણવત્તાની તુવેરની તપાસ કરવામાં આવશે. રાદડિયાએ કહ્યુ જો કોઈ મોટા માથાના નામ સામે આવેશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો આ મામલે કિસાન કોંગ્રેસના સભ્ય પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે જયેશ રાદડિયા અધૂરી માહિતી લઈને નિવેદન આપી રહ્યું છે. સત્ય શું છે તે અંગે તે જાણતા જ નથી.
મહત્વનુ છે કે, બુધવારે સરકાર દ્વારા 85 લાખ રૂપિયાની તુવેર સીઝ કરવામાં આવી છે. આ મામલે યોગ્ય તપાસ બાદ કેશોદના અનેક રાજકીય નેતાઓના નામ સામે આવી શકે છે. તુવેર કૌભાંડમાં અધિકારીઓ અને કર્મચારીઓના નામ ખુલે તેવી શક્યતા છે.
સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, કેશોદ માર્કેટિંગ યાર્ડમાં મગફળી બાદ નાફેડ દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે પૂર્ણ પણ થઇ હોવાથી યાર્ડના શેડમાંથી માલ ટ્રક ભરીને ગોડાઉન સુધી પહોંચતો કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. જો કે 3 ટ્રકમાં અનેક કટાઓમાંથી નબળી તુવેર હોવાનું બહાર આવતા જ તે માલ રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. ટેકાનાં ભાવે ખરેદેલી 3241 ગુણી કિંમત રૂ.90 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પોલીસે 7 શખ્સો સામે ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂતો પાસેથી ચોખ્ખી ખરીદાયેલી તુવેરમાં 30 માર્ચ તેમજ 11 અને 12 એપ્રિલની રાત્રે ડાઠાની ભેળસેળ કરવામાં આવી હતી.