મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ થયા બાદ હવે અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. રાજ્યમાં આજથી 24 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે.
રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યમાં 30 કેન્દ્ર પર મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જ્યારે 62 કેન્દ્ર પરથી અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લામાં આજથી ટેકાના ભાવે અડદ અને મગની ખરીદી શરૂ થઈ છે. અડદની 1120 રૂપિયા મણના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જ્યારે મગની 1395 રૂપિયા મણના ભાવે ખરીદી થઈ રહી છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 300 ખેડૂતોની ઓનલાઈન નોંધણી થઈ છે. જ્યારે 1000થી વધુ ખેડૂતોના ફોર્મ લઈને ઓફલાઈન ટોકન આપવામાં આવ્યા છે.
મગફળી બાજરી તૂવેર બાદ હવે મગ અને અડદના પાકની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે 1 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મગફળીને લઇને ટેકાના ભાવે ખરીદીને લઇને રાજ્યમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
જ્યારે બીજી બાજુ મગફળીના ગોડાઉનમાં આગના બનાવોને લઇને રાજ્યભરમાં ચોતરફથી ટીકાઓનો સામનો રાજ્ય સરકારને કરવો પડ્યો હતો.