નવલી નવરાત્રીને હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. ત્યારે સ્વાભાવિક છે કે, ખેલૈયાઓ થનગનવા આતૂર હશે. પરંતુ આ વખતે વરસાદ તેમાં ખેલ બગાડી શકે છે. તેવું હવામાન વિભાગનું માનવું છે. પરંતુ ખેલૈયાઓની મજા ન બગડે તે માટે અમદાવાદની એક મહિલાએ સ્પેશિયલ નવરાત્રી પોષાક તૈયાર કર્યા છે. જેને પહેરીને વરસાદમાં પણ ખેલૈયાઓ થનગની શકશે. ત્યારે આખરે કેવાં છે આ સ્પેશિયલ નવરાત્રીનાં પોષાક (Navratri costumes) તે જોઇએ અહીં.
અમદાવાદીઓ નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય અને ખેલૈયાઓ 2થી 3 મહિના અગાઉથી તૈયારી શરૂ કરી દેતા હોય તેવામાં જો હવામાન વિભાગથી સાંભળવા મળે કે નવરાત્રિમાં મેઘરાજ વરસશે તો ખેલૈયાઓનો ઉત્સાહ નિરાશામાં બદલાઈ જતી હોય છે પણ આ વખતે આ ઉત્સુકતાને બરકરાર રાખવા માટે અમદાવાદની એક મહિલાએ સ્પેશિયલ રેઇનકોટ ચણિયાચોળી ડિઝાઈન કરી છે અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અમદાવાદમાં આવેલી ન્યુ આશી પ્લાસ્ટીક ફેક્ટરી દ્વારા ડિઝાઈનર છાયા મહેતાએ વરસાદમાં વપરાતા રેઈનકોટનાં મટિરીયલમાંથી ચણિયાચોળી તૈયાર કરી છે. જેમાં તેમણે પ્રિન્ટેડ મટિરીયલ અને ટ્રાન્સપરન્ટ મટિરીયલનાં આઉટફિટ બનાવ્યાં છે. નાના બાળકોથી લઈને વડીલો પહેરી શકે એવી ચણીયાચોળી, ધોતી, કેડીયું, સાફાને વિવિઘ મટરીયલથી તૈયાર કર્યા છે. આવી ચણીયાચોળી (Chaniya Choli) પ્રથમ વખત માર્કેટમાં આવતી હોવાથી ખેલૈયાઓમાં પણ ખુશીનો માહોલ જોવાં મળી રહ્યો છે.
છેલ્લાં ધણાં વર્ષોથી નવરાત્રીમાં વરસાદ બનવાની ઘટનાઓ વધી છે અને આ વર્ષે તો ખાસ કરીને ચોમાસું મોડેક શરુ થયું હોવાથી નવરાત્રીમાં વરસાદ વધુ પડશે તેવું પણ નિષ્ણંતોનું કહેવું છે એટલે ખેલૈયાઓમાં વધુ ચિંતાનું મોજું દેખાઈ રહ્યું છે પણ આ ચિંતાને દૂર કરવા છાયા મહેતા દ્વારા તૈયાર કરાયેલી ચણીયાચોળી મહત્વનો ભાગ ભજવશે. એટલું જ નહીં આ ચણીયાચોળી ખૂબ જ સારી રીતે કચ્છી ભરતથી ડિઝાઈન હોવાથી ખેલૈયાઓને પહેરવી પણ ગમશે.