H3N2 વાયરસ અંગે રાજકોટની ખાનગી લેબના ડાયરેક્ટર ડૉ.મોનીલ ઠકરારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમારી લેબમાં H3N2 વાયરસના 25થી 28 કેસો પોઝિટિવ આવ્યા છે.
દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો ખતરો વધી ગયો છે. આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. ગુજરાતમાં પણ આ વાયરસના કારણે 1 મોત થઈ ચૂક્યું છે. જોકે, આ વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. ત્યારે હવે H3N2ના ટેસ્ટ મામલે ખાનગી લેબ ગ્રીન ક્રોસના ડાયરેક્ટર ડૉ.મોનીલ ઠકરારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ફેબ્રુઆરી મહિનાથી H3N2ના કેસોમાં વધારો છે. H3N2 નવો વાયરસ વેરિએન્ટ છે, લોકોને સાવચેત રહેવાની જરૂર છે.
25થી 28 કેસો પોઝિટિવ આવ્યાઃ ડૉ.મોનીલ ઠકરાર
ડૉ.મોનીલ ઠકરારે જણાવ્યું કે, અમે રાજકોટમાં ઇન્ફ્લુએન્ઝા A, ઇન્ફ્લુએન્ઝા B, H3N2 અને H1N1નું ટેસ્ટિંગ છેલ્લા 6 મહિનાથી કરીએ છીએ. અમારી લેબમાં જાન્યુઆરીથી માર્ચની 15 તારીખ સુધી જોવા જોઈએ તો H3N2 વાયરસના ટોટલ 120 જેવા સેમ્પલ ટેસ્ટિંગ માટે આવ્યા છે. જેમાંથી 20 ટકા જેટલા સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે H3N2 વાયરસના 25થી 28 કેસો પોઝિટિવ આવ્યા છે.
RMCએ અમને મોકલ્યો હતો પરિપત્ર
તેઓએ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં H3N2ના કેસમાં વધારો થતાં અમને RMCએ પરિપત્ર મોકલીને ડેટા આપવા જણાવ્યું હતું. જેથી અમે અત્યાર સુધીનો ડેટા મોકલી આપ્યો હતો. હવે અમે દરરોજનો ડેટા મોકલી રહ્યા છીએ.
ખાનગી લેબમાં ટેસ્ટનો ભાવ કેટલો?
ડૉ.મોનીલ ઠકરારે વધુમાં જણાવ્યું કે, ઇન્ફ્લુએન્ઝા પેનલ છે એ PCR પદ્ધતિ થાય છે અને ખાનગી લેબમાં H3N2 ટેસ્ટનો ભાવ 4 હજાર 500 રૂપિયા છે. સ્વાઇન ફ્લૂ જ્યારથી આવ્યો ત્યારથી સરકારે આના ભાવ 4500 નિર્ધારિત કરેલા છે. H3N2ની કીટનો ભાવ વધુ હોવાથી ટેસ્ટનો ભાવ 4 હજાર 500 રૂપિયા થાય છે. સરકાર H3N2ની કીટનો ભાવ ઘટાડે તો લેબમાં ટેસ્ટનો ભાવ ઘટી શકે છે.
ફેબ્રુઆરીથી સામે આવવા લાગ્યા કેસઃ ડૉ. જય પરીખ
ડૉ. જય પરીખે જણાવ્યું કે, પહેલા H1N1ના જ કેસ આવતા હતા, જેથી સરકાર પણ એક્ટિવ નહોતી. સરકારને H1N1ના પ્રોટોકોલ જ બધા ખબર જ છે. H3N2ના કેસ ફેબ્રુઆરીથી સામે આવવા લાગ્યા છે. લક્ષણો બંનેના સરખા જ છે. દવા પણ બંનેની સરખી છે. એટલા માટે ગભરાવવાની જરૂર નથી.
H3N2 કેટલું જોખમી છે?
ડૉ. ગંગારામ હોસ્પિટલ ધીરેન ગુપ્તાના જણાવ્યા અનુસાર, H3N2 એન્ટિજેનિક ડ્રિફ્ટ અને હળવા પરિવર્તન છે. પરંતુ તે જીવલેણ નથી પરંતુ જો દર્દીને બે કે તેથી વધુ રોગો હોય તો મૃત્યુની શક્યતા વધારે છે. ભારતમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ત્રણ પેટા પ્રકારો છે. ઈન્ફલ્યુએન્ઝા A H1N1pdm09, ઈન્ફલ્યુએન્ઝા A H3N2 અને ઈન્ફ્લુએન્ઝા B વિક્ટોરિયા. આમાંથી H3N2 એ 2023 ની શરૂઆતમાં સૌથી સામાન્ય રીતે શોધાયેલ પેટા પ્રકાર છે.
કોને વધુ જોખમ છે?
ડૉ. કુલદીપ કુમાર ગ્રોવરના જણાવ્યા અનુસાર, બાળકો અને વૃદ્ધો માટે H3N2 વાયરસનું જોખમ વધારે છે કારણ કે તે રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. જે લોકોને અસ્થમા, હ્રદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને નબળી રોગપ્રતિકારક શક્તિની ફરિયાદ હોય તેઓને પણ વધુ જોખમ રહેલું છે. સગર્ભા સ્ત્રીઓને પણ આ વાયરસનું જોખમ વધારે છે. કોવિડને કારણે બાળકો 2 વર્ષ સુધી ઘરે જ રહ્યા અને શાળા અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહ્યા. પરંતુ હવે શાળાઓ ખુલી છે અને બજારોમાં ભીડ વધી છે, તેથી આ સામાન્ય પ્રકારને કારણે બાળકોમાં આ વાયરસના કેસોની સંખ્યામાં વધારો થયો છે.
H3N2 વાયરસ કેવી રીતે ફેલાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય?
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંક દ્વારા તંદુરસ્ત વ્યક્તિ સુધી પહોંચે છે. ચેપ ટાળવા માટે, સલામતીની કાળજી લેવી જરૂરી છે. આ માટે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, જો તમે જાહેરમાં બહાર હોવ તો માસ્ક પહેરો, વારંવાર તમારા હાથ સાબુથી ધોવા, એવા લોકો સાથે સંપર્ક ટાળો જેમને ફ્લૂ હોય અથવા ફ્લૂના લક્ષણો દેખાય.
H3N2ના લક્ષણો
H3N2 વાયરસના ચેપના સામાન્ય લક્ષણો ફ્લૂ જેવા હોય છે. આ વાયરસની પકડમાં તાવ અથવા શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું નાક અથવા કેટલાક કિસ્સાઓમાં માથાનો દુખાવો અને થાક છે. કેટલાક કિસ્સાઓમાં ઉલટી અથવા ઝાડા પણ થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ પણ આ વાયરસનું લક્ષણ હોઈ શકે છે.