પર્યાવરણવિદ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટેના વકીલે આરોપી શિવા સોલંકીની જામીન અરજી મામલે અવલોકન કરી જણાવ્યું કે કેસની ગંભીરતાને જોતા અને આરોપી પર વિશ્વસ ન હોવાથી આરોપીને જામીન ન આપી શકાય. ઉલ્લેખનીય છે કે અમિત જેઠવા હત્યા કેસમાં કોર્ટે આરોપી શિવા સોલંકી સહીતનાઑને આજીવન કેદની સજા ફટકારાઇ છે.
ડિસેમ્બર સુધીમાં સુનાવણી પૂરી ન થાય તો આરોપી જામીન અરજી કરી શકે છે
ચકચારી અમિત જેઠવા હત્યા કેસમાં સજા કાપી રહેલા આરોપી શિવા સોલંકીની જામીન અરજી રદ કરવામાં આવી છે. જામીન અરજી ફગાવી દેવાતા આરોપી અરજદાર દ્વારા રજૂઆત કરાઇ કે 31 ડિસેમ્બર 2022 પછી નવેસરથી જામીન અરજી કરવાની મંજૂરી આપવામાં આવે તો હાલ તે અરજી પરત ખેંચી લે. આથી આરોપીની રજૂઆતને માન્ય રાખી હાઇકોર્ટે પણ રાહત આપી છે અને કહ્યું કે આ કેસમાં ખાસ CBI કોર્ટના ચુકાદા સામે અપીલ થઇ છે જેની 31 ડિસેમ્બર 2022 સુધીમાં જો સુનાવણી પૂરી ન થાય તો આરોપી નવેસરથી જામીન અરજી કરી શકે છે.
શું હતો ચકચારી અમિત જેઠવા હત્યા કેસ
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની થોડા વર્ષો આગઉ હત્યા કરવામાં આવી હતી. હાઈકોર્ટની સામે જ થયેલી હત્યાના આ ચકચારી કેસમાં સંડોવાયેલા પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી ઉપરાંત તેના ભત્રીજા શિવા સોલંકી અને બહાદુરસિંહ વાઢેર સહિતનાઑને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા અને સીબીઆઇની ખાસ અદાલતે આકરી સજા ફટકારી હતી. હાલ કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ પેન્ડીગ છે. અને પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી હાલ જામીન પર મુક્ત છે. જ્યારે બાકીના આરોપીઑ જેલહવાલે રહેલા છે. ત્યારબાદ આ કેસની સુનાવણી જલદી પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી. જે મામલે જાન્યુઆરી-2022માં સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે હાઈકોર્ટ આ કેસમાં થયેલી અપીલ પર ડિસેમ્બર-2022 સુધીમાં સુનાવણી પૂર્ણ કરીને નિર્ણય લે.