ધીમી અર્થવ્યવસ્થા પર શિવસેનાએ કહ્યું છે કે મોદી સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સલાહ ગંભીરતાથી લેવી જોઇએ. શિવસેના મુજબ, જો મોદી સરકાર એવું કરે છે તો તે રાષ્ટ્રહિતમાં હશે.
હાલમાં જ મનમોહન સિંહે એક વીડિયો જાહેર કરી મોદી સરકારના પહેલા અને બીજી કાર્યકાળમાં લેવામાં આવેલા નિર્ણયોને અર્થવ્યવસ્થા માટે ઘાતક બતાવ્યા હતા. એમણે કહ્યું છે કે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિએ દેશને લાંબા સમયની મંદીમાં નાંખી દીધો છે. સરકાર આર્થિક મામલે ટીકાનો સામનો કરી રહી છે.
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં એક લેખ દ્વારા સલાહ અપાઇ છે. શિવસેનાએ સામનામાં લખ્યું 'દેશમાં આર્થિક મંદીને કારણે જે ભયંકર સ્થિતિ ઉત્પન્ન થઇ છે, તેની ભવિષ્યવાણી મનમોહન સિંહે ચાર વર્ષ પહેલા જ કરી હતી. એ દરમિયાન એમનો મજાક ઉડાવાયો હતો.
સત્ય તો એ છે કે એમણે ખરાબ સમયમાં પણ અર્થવ્યવસ્થા માટે પરિશ્રમ કર્યો. જો એમને વર્તમાન સમયમાં તેમા ભૂલો નજરે પડી રહી હશે તો, એ માટે એમને બોલવાનો હક છે. એમણે કહ્યું છે કે સરકારની નીતિઓને કારણે લાખો લોકો પર નોકરી ગુમાવાનું સંકટ તોળાઇ રહ્યું છે.'
શિવસેનાએ પોતાના લેખના અંતમાં કહ્યું છે કે, 'ગત ઘણા વર્ષોથી અર્થવ્યવસ્થાનો સંબંધ પાર્ટી ફંડ, ચૂંટણી જીતવા સુધી જ સીમિત રહી ગયો છે. તેથી દેશની અર્થવ્યવસ્થાને ઇજા પહોંચી રહી છે. આર્થિક મંદી પર રાજનીતિ ન કરવી જોઇએ. એક્સપર્ટસની મદદ લઇને દેશની તસવીર બદલવી જોઇએ. મનમોહન સિંહે પણ આ જ સલાહ આપી છે. તેમની સલાહને ગંભીરતાથી લેવામાં જ રાષ્ટ્રનું હિત છે.'