કોરોના વાયરસના સતત વધતાં કેસ વચ્ચે હવે જનતા અને વેપારીઓ જાતે જ લોકડાઉન કરી રહ્યા છે.
હિંમતનગર શહેરમાં એક સપ્તાહ માટે લાગશે લોકડાઉન
આવતીકાલથી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયુ
કલેક્ટર, પાલિકા અને વેપારી એસોસિએશનની બેઠકમાં નિર્ણય
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને વીફરી છે ત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે. ત્યારે વેપારીઓ દ્વારા તંત્ર સાથે બેઠક કર્યા બાદ જાતે જ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. વિવિધ જિલ્લાઓમાં સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે.
હિંમતનગર શહેરમાં એક સપ્તાહ માટે લાગશે લોકડાઉન
કોરોના વાયરસના સતત વધતાં કેસનો માર ઉત્તર ગુજરાત પર પણ પડ્યો છે ત્યારે હિંમતનગર શહેરમાં એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કલેકટર, પાલિકા તથા વેપારીઑ વચ્ચે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આવતીકાલથી બીજી મેં સુધી સ્વયંભૂ રીતે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. લોકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.
ગોધરામાં આજથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન
કોરોના વાયરસના કેસને અટકાવવા માટે વિવિધ જિલ્લાઓમાં વેપારીઓ આગળ આવી રહ્યા છે ત્યારે પંચમહાલના ગોધરામાં પણ આજથી ત્રણ દિવસનું સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે.
ડીસામાં આજથી 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
કોરોનાના કેસ વધતા ડીસા અને ગોધરામાં આજથી નવા કડક પ્રતિબંધો લાગુ કરાયા છે. ડિસામાં આજથી 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. શહેરોમાં જીવન જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ રખાઇ છે. વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાયા છે. તો પંચમહાલના ગોધરામાં આજથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવાયો છે.
મહત્વનું છે કે ગઇકાલથી સાવરકુંડલામાં 4 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું હતું. તો હળવદમાં વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 5 દિવસનું લોકડાઉન લગાવાયું છે. જ્યારે મહેસાણાની બજાર 11 દિવસ સુધી બંધ રહેશે.
ગુજરાતમાં ગઇકાલે 24 કલાકમાં 13,105 નવા કેસ નોંધાયા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 13,105 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 137 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 5,142 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,55,875 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
137 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 137 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5877 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 376 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 92,084 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5141 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 84 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1558 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 518 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 598 કેસ, જ્યારે ગ્રામ્યમાં 183 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 697 કેસ અને ગ્રામ્યમાં 65 કેસ નોંધાયા છે