નદીમાંથી પાણી ચોરવાની ઘટના તો આપણે સાંભળતાં આવ્યા છે. પરંતુ હવે નદી વચ્ચે રસ્તો બનાવવાની વાત પણ સામે છે અને તે પણ નર્મદાના વિશાળ પટમાં. રિસોર્ટના માલિકે પોતાના રિસોર્ટમાં લોકો સહેલાઈથી આવી શકે તે માટે સૂકાયેલી નર્મદા વચ્ચે રસ્તો બનાવી દીધો. આ રિસોર્ટના માલિક છે જાણિતા ડાયમંડ વેપારી સવજી ધોળકિયા..ત્યારે શું છે નદીમાં પેશકદમીની આ હકીકત. જોઈએ આ અહેવાલમાં.
ગુજરાતમાં એકબાજુ જળતંગી જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ વહેતી નદીમાં લોકો અંગત સ્વાર્થ માટે રસ્તો બનાવી રહ્યા છે અને તે પણ ગુજરાતની જીવાદોરી સમી નર્મદા નદીના પટમાં. ભરૂચના ઝાડેશ્વર નિલકંઠડેશ્વર નર્મદા નદીના કિનારા નજીક એક ભવ્ય રિસોર્ટ છે. એ રિસોર્ટમાં લોકો સરળતાથી જઈ શકે તે માટે રિસોર્ટના માલિક દ્વારા નર્મદા નદીની વચ્ચો વચ્ચ રસ્તો ઊભો કરી દેવાયો છે. એક તરફ નર્મદા નદીના જળસ્તર ઘટી રહ્યા છે.
રિસોર્ટના માલિકે બનાવ્યો રસ્તો
ત્યારે બીજી બાજુ ખાનગી રિસોર્ટમાં જવા માટે નર્મદા નદીના વહેણને અટકાવી રસ્તો બનાવવામાં આવ્યો છે. નર્મદા નદીના વ્હેણ હાલ સૂકાઈ ગયા છે. ત્યારે રિસોર્ટના સંચાલકે રસ્તો બનાવી દેતા સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તી છે.
તો તંત્રનુ ભેદી મૌન પણ સૌને અકળાવી રહ્યું છે. સૌથી મહત્વનું વસ્તુ એ છે કે આ રિસોર્ટના માલિક બીજુ કોઈ નહીં પણ સુરતના જાણિતા હીરા વેપારી અને બોનસ આપવા માટે જાણીતા સવજી ધોળકિયા હોવાનું સામે આવ્યું છે.
તો જે પ્રકારે સવજી ધોળકિયા જેવા વ્યક્તિ પર નદીને રોકી પાળો બાંધી દેવાનો આરોપ લાગ્યો છે તો લોકો પણ કન્ફ્યુઝ જોવા મળી રહ્યા છે. ત્યારે વીટીવીની ટીમે સ્થળ પર જઈને સત્ય હકિકત જાણવાનો પ્રયાસ કર્યો. ભરૂચના અમારા સંવાદદાતા હારૂન પટેલ અને તેમની ટીમ એ રિસોર્ટ પાસે પહોંચી કે જેને લઈને આ સમગ્ર વિવાદ થયો છે. હારુન પટેલે એ પાળાને પણ જોયો.
જેમાં પાળો તો ચોક્કસ જોવા મળ્યો. અને તે પણ નદીની વચ્ચે વચ. ત્યારે સવજી ધોળકિયાને નજીકથી જાણતા લોકો એ માનવા તૈયાર નથી કે તેઓ આ ગેરકાનુની કામ કરે. કારણ કે સવજી ધોળકિયા પોતાના દાન-ધર્મ માટે જાણીતા છે. તેમણે લોક કલ્યાણ માટે અનેક કામો કર્યા છે.
સવજીભાઇ દાન માટે છે જાણીતા
પોતાના ગામમાં સ્વખર્ચે મસમોટું સરોવર બનાવડાવ્યું છે. તો અનેક જગ્યાએ તેમના દાન બોલે છે. સાથે દિવાળીના સમયે પોતાના કર્મચારીઓને કાર, જ્વેલરી અને ફ્લેટ બોનસમાં આપે છે. હવે આટ આટલી વિશેષતા ધરાવતા સવજી ધોળકિયા નદીનું વહેણ રોકી પાળો બાંધી દે અને આ પ્રકારને ગેરકાનુની કે પછી કોઈ મંજૂરી વગરનું કામ કરે તે લોકોને માનવામાં આવતું નથી.
પરંતુ હાલ તો વહેતી નર્મદા નદીમાં પાળાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું રિસોર્ટના માલિક સવજી ધોળકિયાએ અંગત સ્વાર્થ માટે પાળો બનાવ્યો ? શું તંત્રને આ સમગ્ર ઘટનાની જાણ જ નહીં હોય ?
જાણકારી હોવા છતાં શું તંત્ર પર કોઈ દબાણ છે ? નર્મદાના તટ સાથે ખિલવાડ કરવાની હિંમત કેમ થઈ રહી છે ? જવાબદારો સામે તંત્ર પગલાં ભરશે ખરું ? ભરૂચનું વહીવટી તંત્ર આખરે ક્યારે જાગૃત બનશે ? શું સવજી ધોળકિયાને તંત્ર તરફથી કોઇ મંજૂરી અપાઈ છે ખરા ?
એક બાજુ નર્મદા નદીને બે કાંઠે વહેતી કરવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ નદીના પટમાં પણ પેશકદમીની પેરવી ચાલી રહી છે. ત્યારે તંત્ર કેમ લાચાર છે તે સો મણનો સવાલ છે.