બોલીવુડના કોમેડી અભિનેતા અને સાંસદ પરેશ રાવલે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પોતાના ફિલ્મ રોલ અને સંજય દત્તની બાયોપિક વિશે વાત કરતા જણાવ્યું હતું કે સૌથી પહેલાં તો ફિલ્મમાં હું મારો રોલ જોઉં છું. જો રોલ નબળો હોય તો ડિરેક્ટરને ધ્યાનમાં રાખું છું. કેમ કે મને લાગે છે કે જો રોલ એકદમ યોગ્ય ન હોય તો સારો ડિરેક્ટર એને સંભાળી લેશે.
જો ફિલ્મના ડિરેક્ટરમાં દમ ન હોય તો પછી હું ફીને ધ્યાનમાં રાખું છું. રૂપિયા મળે તો લઈ લો. જો રોલ ડિરેક્ટર અને રૂપિયા ત્રણેય ન હોય તો વાત આગળ વધતી નથી. સુનિલ દત્ત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સુનીલ દત્તની કોઈ ચોક્કસ જ રીતભાત નહોતી. તેઓ ખૂબ જ નોર્મલ વ્યક્તિ હતા. એટલા માટે દત્ત સાહેબનો રોલ પ્લે કરવો મુશ્કેલ પણ હતો.
આવા કૅરૅક્ટર્સમાં તમારે એ ધ્યાનમાં રાખવું પડે કે તમે જેનો રોલ પ્લે કરી રહ્યા છો એ કેવી મુશ્કેલીઓમાંથી પસાર થયા છે. મેં દત્ત સાહેબનો રોલ પ્લે કરવા માટે તેમનો સંઘર્ષ અને દુ:ખને જાણવાની કોશિશ કરી છે.
આ ફિલ્મમાં બાપ-દીકરાના સંબંધોની કહાણી છે. એક તરફ નરગીસજીની જીવલેણ બીમારીની ચિંતામાં દત્ત સાહેબ પરેશાન હતા તો બીજી તરફ દીકરાના જીવલેણ નશાથી પરેશાની. આ બધાની વચ્ચે તેમની પોલિટિકલ કરિઅર બાબતે પણ સવાલો કરાયા હતા.
અધૂરામાં પૂરું બોમ્બ બ્લાસ્ટના એક કેસમાં દીકરાનું નામ આવ્યું. જે પરિવાર આખી જિંદગી દેશ સેવામાં વ્યસ્ત હતો તેના જ દીકરાનું નામ બોમ્બ બ્લાસ્ટમાં આવે તો એ પરિવારની શું હાલત થાય. મેં સુનીલ દત્તના આ સંઘર્ષ અને દુ:ખને જાણવાની કોશિશ કરી છે.
સંજય દત્ત માટે સૌથી મોટું દુ:ખ તો એ જ હતું કે જ્યારે દેશની અદાલતે તેને એ કહ્યું હતું કે તે આતંકવાદી નથી ત્યારે એ સમયે તેના ફાધર તેની સાથે ન હોતા. તેમણે વધુમાં કહ્યું કે સુનીલ દત્તની સૌથી વિશેષ ખાસિયત એ હતી કે આટલું બધું થવા છતાં પણ તેમણે પોતાના પરિવારને સંભાળીને રાખ્યો હતો.
સંજય દત્તે તેની આખી લાઇફ પ્રામાણિકતાથી જણાવી એ મોટી વાત છે. મને લાગે છે કે સંજય દત્ત તેની સ્ટોરી એટલા માટે નિખાલસતાથી બતાવી રહ્યા છે કે તેમણે વિચાર્યું હશે કે એક વખત ડ્રગ્ઝ લેવાથી જિંદગીમાં કેવી ઉથલપાથલ મચી ગઈ હતી તો લોકો તેમની સ્ટોરી જુએ અને વિચારે. જેથી કોઈ આવી ભૂલ ન કરે. કદાચ એટલા માટે જ સંજયે તેની સ્ટોરીને પ્રામાણિકતાથી જણાવી છે.