ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી ખાલી પડેલ લોકાયુક્તની જગ્યા માટે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ રાજેશ શુક્લાની નિયુક્તિ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ડી.પી બુચનો કાર્યકાળ વર્ષ 2018માં પૂર્ણ થતાં આ પદ ખાલી પડ્યું હતું અને નવા લોકાયુક્ત માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.
નિવૃત્ત જસ્ટિસ આર એચ શુક્લાની ગુજરાતના લોકાયુક્ત તરીકે નિયુક્ત
છેલ્લા 2 વર્ષી ખાલી પડ્યું હતું પદ
ઉલ્લેખનીય છે કે લોકાયુક્તની નિમણૂંક માટેની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લેવાામાં હતી અને તેમાં R.H શુક્લાનું નામ સૌથી મોખરે હતું. ત્યારે આજે સત્તાવાર રીતે તેમની ગુજરાતના લોકાયુક્ત તરીકે નિયુક્ત કરાયા છે.
આવતીકાલે રાજભવન ખાતે તેમની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત લોકાયુક્ત રાજેશ શુક્લાને શપથ લેવડાવશે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત હાઇકોર્ટના તમામ જજ, કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા લોકાયુક્ત ની શપથવિધિ માં ઉપસ્થિત રહેશે
જસ્ટિસ આર એચ શુક્લા કોણ છે
1981માં વકીલાતનો વ્યવસાય અપનાવ્યા બાદ તેમણે 1982થી ગુજરાત સરકારના પેનલ પરના ખાસ વકીલના પ્રતિનિધી તરીકે કામ કર્યું છે. 1994માં તેઓ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ જજ બન્યા. અમદાવાદમાં 1988માં થયેલાં પ્લેન ક્રેશના કેસમાં ભોગ બનનારાં લોકોને વળતર આપવાનો ચૂકાદો પણ તેમણે સંભળાવ્યો હતો. નવેમ્બર 2007માં ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયમૂર્તિ, મે 2009માં તેઓ કાયમી જજ બન્યા હતા. નિવૃત્ત જસ્ટીસ આર એચ શુક્લાએ 2010માં એક VIP વ્યક્તિના જામીન આપ્યા હતા જે હાલમાં દેશમાં એક મહત્વના અને શક્તિશાળી પદ પર કાર્યરત છે.
લોકાયુક્તનું શું કાર્ય હોય છે
લોકાયુક્તને મુખ્ય પ્રધાન સહિત રાજ્યના મંત્રીઓ વિરુદ્ધ સરકારમાં ગેરરીતિઓ અથવા ભ્રષ્ટાચાર અથવા ભ્રષ્ટ વ્યવહાર અંગેની ફરિયાદોની તપાસ માટે પણ સત્તા આપવામાં આવી છે. તેમનું મુખ્ય કામ રાજ્યમાં થતાં ભ્રષ્ટાચાર રોકવાનું તેમ જ ફરિયાદોને આધારે કાર્યવાહી કરવાનું મુખ્ય કામ હોય છે.
લોકાયુક્તની કેવી રીતે પસંદગી થાય છે
ઉલ્લેખનીય છે કે, લોકાયુક્તની નિમણૂંક માટે એક ખાસ કમિટી બનાવવામાં આવી હોય છે જેમાં મુખ્યમંત્રી, ચીફ જસ્ટીસ અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા સામેલ હોય છે.