ગુજરાતમાં કોરોના વાયરસના સતત વધતાં કેસ સામે હવે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ આગળ આવ્યા છે, સીએમ રૂપાણી અને અંબાણીની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગરમાં તૈયાર થશે એક હજાર બેડની કોવિડ હોસ્પિટલ
ઑક્સીજન સપ્લાય સાથેની સુવિધા સાથે ઊભી કરાશે હોસ્પિટલ, રવિવાર સુધીમાં 400 બેડ તૈયાર
મુકેશ અંબાણી અને સીએમ રૂપાણીની વાતચીત બાદ રિલાયન્સ દ્વારા લેવાયો મોટો નિર્ણય
સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર
કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત સહિત આખા દેશ પર કહેર બનીને તૂટી છે ત્યારે રાજ્યમાં દર્દીઓની સારવાર આપવા માટે બેડની સંખ્યા ખૂટી પડી છે. ઘણી બધી જગ્યાએ વ્યવસ્થા અને સારવારના અભાવે દર્દીઓએ જીવ ગુમાવવા પડ્યા છે ત્યારે હવે દેશના મોટા ઉદ્યોગપતિઓ કોરોના સામેની લડાઈમાં સામે આવી રહ્યા છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સાથે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ વાતચીત કર્યા બાદ રિલાયન્સ દ્વારા જામનગરમાં એક હજાર બેડની હોસ્પિટલ ઊભી કરવા નિર્ણય કર્યો છે.
કુલ 1 હજાર બેડની હશે હોસ્પિટલ, મેડિકલ સાધનો રિલાયન્સ લાવશે
નોંધનીય છે કે સીએમ રૂપાણી સાથેની વાતચીતમાં રિલાયન્સના ચેરમેને રવિવાર સુધીમાં 400 બેડની હોસ્પિટલને કાર્યરત કરી દેવા માટે તત્પરતા દર્શાવી છે. આટલું જ નહીં એક વાર 400 બેડની હોસ્પિટલ ચાલુ થઈ જાય પછી વધારાના 600 બેડ ઉમેરવામાં આવશે અને પછી એક હજાર બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર થશે. નોંધનીય છે કે આ હોસ્પિટલમાં સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર તરફથી મદદ કરવામાંઆ આવશે જ્યારે જરૂરી મેડિકલ સાધનો રિલાયન્સ દ્વારા લાવવામાં આવશે.
સીએમ રૂપાણીની દેખરેખ હેઠળ કામ શરૂ
નોંધનીય છે કે આ હોસ્પિટલ નિર્માણ માટેની કામગીરી સીએમ રૂપાણીની દેખરેખ હેઠળ અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના નેતૃત્વમાં જિલ્લા કલેકટર, તેમજ જિલ્લા વહિવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે.
જામનગર અને આસપાસના જિલ્લાના કોરોના દર્દીઓ માટે રાહત
સૌરાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે જામનગરમાં મોટી કોવિડ હોસ્પિટલ ઊભી થવાથી ન માત્ર જામનગર પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર જેવા જિલ્લાના દર્દીઓને સારવાર માટે સુવિધા ઊભી થાય તેવી આશા છે.