એએમટીએસના સત્તાવાળા દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનોને એએમટીએસ બસના ભાડામાં પ૦ ટકાની રાહત અપાય છે. આ સુવિધાનો ગઇ કાલે ૪પ,૦૦૦ મહિલા-બાળકોએ લાભ લીધો હતો અને આખો દિવસ અર્ધા ભાડામાં મુસાફરી કરી હતી. ૩પ,૬૯૪ મહિલાએ રૂ.૧૦ના ભાડામાં તહેવાર ઉજવ્યો.
એએમટીએસના ચેરમેન અતુલ ભાવસાર કહે છે રક્ષાબંધન માટે મહિલાઓની મનપસંદ ટિકિટ ફક્ત રૂ.૧૦ અને બાળકો માટે રૂ.5નું ભાડું રખાયું હતું. આ ભાડા હેઠળ બહેનો તેમજ બાળકો પૂરા દિવસમાં મુસાફરી કરી તહેવારનો આનંદ માણી શકે તેવો આશય હતો. ગઇ કાલે ૪પ,૦૦૦ મહિલા-બાળકોએ અમારી આ વિશેષ સુવિધાનો લાભ લીધો હતો.
જેમાં ૩પ૬૯૪ મહિલાઓએ રૂ.૧૦માં અને ૭૭રર બાળકોએ રૂ.5માં તહેવાર ઉજવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં મહિલાઓ માટે મનપસંદ ટિકિટનું ભાડું રૂ.ર૦ અને બાળકો માટે રૂ.૧૦ છે. જે રક્ષાબંધન નિમિત્તે અડધું કરાયું હતું. મહિલાઓની મનપંસદ ટિકિટ હેઠળ સવારના અગિયારથી રાતના અગિયાર વાગા સુધી મુસાફરી કરી શકે છે. જ્યારે જનરલ ટિકિટ હેઠળ રૂ.૩૫નું ભાડું હોઈ તેમાં સવારે છથી રાતના અગિયાર વાગ્યા સુધી મનપસંદ પ્રવાસ કરી શકાય છે.
ઉપરાંત પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની તંત્રની ખાસ યોજના મુજબ ગત વર્ષે બસની ૩૮૪ ફેરી ભાડે લેવાઇ હતી. જ્યારે આ વખતે ગત ૧પ ઓગસ્ટ સુધીમાં બસની ૩૮૦ ફેરી ભાડે લેવાઇ ચૂકી છે. પવિત્ર શ્રાવણ માસમાં પ્રતિ દિન રૂ.ર૪૦૦ના ભાડે બસ ભાડે લઇ શકાય છે.
જે તે ધાર્મિક પ્રવાસ માટેની નોંધણી કરવા નાગરિકે સારંગપુર, મણિનગર, વાડજ અને લાલદરવાજા ટર્મિનસ ખાતે ૪૦ પેસેન્જર માટે રૂ.૨૪૦૦ રોકડા ભરવા પડે છે. જે બે ત્રણ દિવસ પહેલા ભરવાના હોય છે અને તંત્ર દ્વારા શ્રીકૃષ્ણ મંદિર ભાડજ સહિત ૧૮ દર્શનીય સ્થળોની મુલાકાત કરી અપાય છે.