કોરોનાને કારણે મુલતવી રખાયેલી રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત દેશની 18 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપે કોંગ્રેસના 4 ધારાસભ્યોતો પહેલા જ તોડી લીધા છે પણ વધુ એક ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચાએ ગુજરાતના રાજકારણનો માહોલ ગરમ બનાવી દીધો છે.
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક MLAના રાજીનામાની ચર્ચા
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક MLAના રાજીનામાની ચર્ચા હાલ ગાંધીનગરના રાજકારણને ગરમ કરી રહી છે. કરજણના ધારાસભ્યએ રાજીનામુ આપ્યાની ચર્ચાએ જોર પકડ્યુ છે. કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામુ આપ્યાની ચર્ચા ચાલી રહી છે. અક્ષય પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. ગઈકાલથી અક્ષય પટેલ સંપર્કવિહોણા થયા છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા
ગઢડાના MLA પદેથી પ્રવીણ મારુએ રાજીનામું આપ્યુ છે. લીંબડીના MLA પદેથી સોમાભાઈ પટેલ રાજીનામું આપ્યું છે જ્યારે ધારીના MLA પદેથી જે વી કાકડિયા અને અબડાસાના MLA પદેથી રાજીનામું પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપ્યુ છે.
કોણ કોણ છે મેદાનમાં?
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.
મતોની ગણતરી અને ગણિત
મતોના ગણિત પ્રમાણે દરેક ઉમેદવારને જીતવા એકડાના 36 મત જોઈએ. ભાજપના ત્રણેય ઉમેદવારને જીતવા માટે કુલ 105 મત જોઇએ અને તેમની પાસે હાલ 103 ધારાસભ્યો હોઇ ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા 5 મત ખૂટે છે.
હાલ કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો છે અને તેમના બન્ને ઉમેદવારને જીતવા 72 મત જોઇએ અને તેથી તેમના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જીતવા માટે પણ ચાર મત ખૂટે છે. પરંતુ અપક્ષના મત તેમને મળે તેમ હોવાથી તેમને માત્ર ત્રણ મતની તૂટ છે. પણ બગડાના બધાં મત તેમને મળી જાય તો કોંગ્રેસના ઉમેદવાર સોલંકીના જીતવાની શક્યતા વધી જાય કારણ કે તેઓને ભાજપના ઉમેદવાર કરતાં એકડાના બે વધુ મત મળે છે.
કયા કયા સાંસદની ટર્મ પુરી થાય છે?
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી (ભાજપ)
વડોદિયા લાલસિંહ (ભાજપ)
ગોહેલ ચુનીભાઇ (ભાજપ)
મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
નવી તારીખો જાહેર
મહત્વનું છે કે, કોરોના વાયરસના કારણે રાજ્યસભાની ચૂંટણીને મુલતવી રાખવામાં આવી હતી. 10 રાજ્યોની 37 સીટો પર ઉમેદવાર બિનહરીફ થયા હતા. જ્યારે હવે 7 રાજ્યોની 18 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે.
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે