યુવા હૈયાઓ જેના માટે થનગની રહ્યાં છે તે આદ્યશક્તિનું પર્વ નવરાત્રીને આડે માત્ર બે દિવસની વાર છે. યુવાઓ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પરંતુ આ નવરાત્રીમાં ખેલૈયાઓએ નિરાશ થવું પડે તેવા સમાચાર આવી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે નવરાત્રીમાં વરસાદ વિધ્નરૂપી બનશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જે અંગે જોઈએ આ સમગ્ર અહેવાલ.
27મી સપ્ટેમ્બરથી પાંચ દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી
વરસાદથી GMDC મેદાન પાણીમાં ગરકાવ
હવે નવરાત્રીને બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે ગઈ કાલે રાત્રીનાં વરસાદ બાદ આજે પણ શહેરમાં આખો દિવસ કાળા ડિબાંગ વાદળો રહ્યાં અને વરસાદ પણ પડ્યો જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખાસ કરીને પાર્ટી પ્લોટોમાં જ્યાં ગરબા થવાના છે ત્યાં મોટી અસર જોવા મળી હતી. ગઈ કાલે શહેરમાં પડેલા સાંબેલાધાર વરસાદ બાદ GMDC મેદાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું અને અમદાવાદનાં મોટા ભાગના પાર્ટી પ્લોટમાં પણ પાણી ભરાતા આયોજકો અત્યારે તે પાણીનો નીકાલ કરીને નવો સેટઅપ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદનાં ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. આ સાથે સાથે ગરબાનાં આયોજકોને પણ કરોડોનું નુકશાન જવાની ભીતી અત્યારથી દેખાઈ રહી છે.
ભારે વરસાદની આગાહીથી ગરબા આયોજકો ચિંતામાં
આ વખતે ટ્રાફિક અને ફાયર સેફ્ટીનાં કડક નિયમો હોવાથી અમદાવાદમાં બહુ ઓછા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થયું હતું અને તેમાં પણ વરસાદે તે આયોજન પર પાણી ફેરવી દીધું છે જેથી ગરબા આયોજકો ચિંતામાં જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં હવામાન વિભાગે પણ ફરી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરી છે.
હવામાન ખાતાએ 27મી સપ્ટેમ્બરથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પ્રથમ નોરતે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
ગઈ કાલે રાત્રે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે જ્યારે સમગ્ર શહેરમાં કુલ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો અને આજે પણ શહેરમાં વિવિધ જગ્યાએ સવારથી વરસાદે દેખા દીધી હતી. ત્યારે મોકળાશથી ખેલવાના સપના જોનારા ખેલૈયાઓ અને કમાઈ લેવાની તૈયારી કરી ચૂકેલા ગરબા આયોજકોમાં વરસાદનાં કારણે ચિંતામાં વધારો થયો છે.