વેરાવળનું આછીદ્રા ગામ હોય કે જૂનાગઢનો ઘેડ પંથક વરસાદી તારાજીની તસવીરો દિલ દહેલાવનારી છે..નુકશાનીનો ચિતાર આફત કરતાંય વધુ ચિંતાજનક છે
સૌરાષ્ટ્રમાં એક જ વર્ષમાં બે કુદરતી આફતનો માર
વેરાવળ નજીકનું આછીદ્રા ગામ બેટમાં ફેરવાયું
જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી
હજુ તો આ વર્ષના 5માં મહિનામાં તો તાઉ-તે સૌરાષ્ટ્રમાં મહાવિનાશ વેર્યો હતો અનેક નુકસાની ભોગવી લોકો માંડ માંડ બેઠા જ થયા હતા ત્યારે સૌરાષ્ટ્રને ફરી એક વખત વરસાદી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કોઈ જીવ બચવા વલખાં મારી રહ્યું છે કોઈ પોતાની ઘરવખરી ઢોર ઢાંખરને પડતા મૂકી મનોમન કુચાઈ રહ્યું છે. જામનગર બાદ વેરાવળ નજીકનું આછીદ્રા અને જુનાગઢનો ઘેડ પંથકની સ્થિતિ સૌથી વધુ વિકટ બની છે. લોકો અવરજવર માટે ટ્રેક્ટરનો તો ઉપયોગ કરી રહ્યા છે એ પણ ડૂબી જાય તેવા પાણીમાં, આખરે જીવનો સવાલ છે, મો સુધી કોળિયો પહોંચાડવાનો જહેમત છે..
અડધું ટ્રેકટર ડુબી જાય તેટલું પાણી
વેરાવળ નજીકનું આછીદ્રા ગામ બેટમાં ફેરવાય જતાં મોટી આફતમાં આવી ગયું છે. તાઉતે બાદ આછિદ્રા ગામ ફરી એક વાર મોટી મુશ્કેલી આવતા લોકો ન ઘરના રહ્યા છે ન ઘાટ ના રહ્યા છે. વરસાદી પાણીમાં ગામમાં ઘૂસી જતાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અવર જવર કરવા માટે લોકો ન છૂટેક જીવને જોખમમાં મૂકી રહ્યા છે કારણ કે ગરીબ લોકોની ઘરવખરી પાણીમાં પલડી જતાં ખાવા સુધીના ફાંફાં પડ્યા છે. લોકોની અવરજવર માટે ટ્રેકટરનો સહારો લઈ રહ્યા છે. ગામમાં રસ્તાઓ પર અડધું ટ્રેકટર ડુબી જાય તેટલું પાણી હોવાથી જીવની બાજી ખેલી લોકો અવર જવર કરી રહ્યા છે. તંત્ર પણ એક સામટું આટલું પાણી ભરાતા પાંગળૂ બન્યું છે.
જૂનાગઢનું બગસરા ઘેડ ફેરવાયું બેટમાં
જૂનાગઢનો ઘેડ પંથક બેટમાં ફેરવાઇ જતાં આકાશી આફતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ન લાઇટના ઠેકાણા છે ન તંત્રની મદદના
અનેક લોકો રસ્તામાં ફસાયા છે તો વરસાદી પાણીથી ખેતરો ડુબાડૂબ થઈ ગયા છે, હજુ પણ પાણીની આવક ચાલુ હોવાથી ક્યારે પાણી ઓસરસે તેનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ બન્યું છે, ઉભા પાકમાં નુકસાન થવાની ભીતીથી ખેડૂતોને કોરોના, તાઉતે બાદ વધુ એક કુદરતી આફતથી હવે ગળે આવી ગયા છે..
નુકશાનીનો ચિતાર ચિંતાજનક છે...
ગુજરાતમાં મેઘતાંડવના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ગુજરાતના 201 રસ્તાઓ બંધ થયા છે. ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે બંધ થયા છે. જયારે પંચાયત હસ્તકના 162 રસ્તાઓ બંધ થયા છે. તેમજ અન્ય 20 માર્ગ વરસાદને કારણે બંધ કરવામાં આવ્યા છે. આથી STની 221 ટ્રીપ અને 55 રૂટ બંધ થયા છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા બાદ PGVCLને ફરી ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી 545 વીજપોલ જમીનદોસ્ત થયા છે. 145 ગામમાં હજુ વીજ પુરવઠો ખોરવાયેલો છે. તો વીજકંપનીના 445 ફીડર બંધ થયા છે. ખેતીવાડીના 396 ફીડરને નુકસાન થયું છે. જયારે રાજકોટના 23 અને જામનગરના 85 ગામમાં વીજળી ગૂલ થઇ છે. તો આ તરફ ભાવનગર અને ઉપેલેટામાં બચાવ કામગીરી માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહીને લઇને વહીવટી તંત્ર અલર્ટ થઇ ગયું છે. માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે NDRFની ટીમ આવી પહોંચી છે. વડોદરાથી 25 સભ્યોની NDRFની ટીમ ભાવનગર આવી છે. જયારે બે દિવસમાં ઉપલેટામાં પડ્યો 12 ઈંચ વરસાદ થયો છે. ઈસરા, નીલાખા, લાઠ, ભીમોરા, મજેઠી ગામે પાણી ભરાયા છે. NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.