કેન્દ્ર સરકારે રજુ કરેલા કૃષિ બિલનો વિવાદ સળગી રહ્યો છે.સંસદથી લઇને સડક સુધી ઉતરીને ખેડૂત સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે.
આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ બિલને કૃષિ વિરોધી કાળો કાયદો ગણાવ્યો છે. રાહુલે ટ્વીટ કરીને મોદી સરકાર અને MSP ઉપર સવાલો ઉઠાવ્યા છે. આ ટ્વીટના ગુજરાતના કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રીટ્વીટ કરી છે. હાર્દિકે લખ્યું છે કે શું આ સિલસિલો અટકશે જ નહીં? સરકાર પોતાની ચાલ વડે ક્યાં સુધી ખેડૂતો સાથે છેતરપિંડી કરતી રહેશે?
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે મોદી સરકારના કૃષિ વિરોધી કાળા કાયદાથી ખેડૂતોને APMC અને કૃષિ માર્કેટ ખતમ થઇ જવાથી MSP કેવી રીતે મળશે. પછીના સવાલમાં તેમણે કહ્યું કે આખરે મોદી સરકાર MSPની ગેરંટી કેમ લેવા તૈયાર નથી? મોદીજી ખેડૂતોને ઉદ્યોગપતિઓના ગુલામ બનાવી દેવા માંગે છે જે દેશ ક્યારેય થવા નહીં દે.
સોશ્યલ મીડિયા યુઝર્સે કોંગ્રેસને ઘેર્યું
હાર્દિક પટેલે રાહુલના આ ટ્વિટને રીટ્વીટ કરીને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. જો કે, સોશિયલ મીડિયા યુઝર્સે તેને આડે હાથે લીધો હતો. ગૌતમ નામના યુઝરે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંજય ઝાના ટ્વીટનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો અને લખ્યું કે, "કેટલો સમય ખોટું બોલશો? તમે પોતે જ APMCનો અંત લાવવાના મતના હતા. હવે ભાજપે કર્યું તો આ પાપ કેવી રીતે થયું?" કોંગ્રેસ એ અસત્યની પેદાશ છે.