ગુજરાતની પ્રજા જેની ગઈકાલથી કાગડોળે રાહ જોઈ રહી હતી તે લોકડાઉન 4.0ની ગાઈડલાઈન મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે સાંજે પ્રજા સમક્ષ રાખી છે. ગાઈડલાઈન સિવાય CM રૂપાણીએ અમૂલ પાર્લર પર માસ્કના વેચાણની જાહેરાત કરી છે. કોરોનાની લડતમાં 55 દિવસ બાદ સરકારને એકાએક યાદ આવ્યું કે લોકોને માસ્ક કેવી રીતે મળશે એટલે અમૂલ પાર્લર પર કાલથી 3 લેયર માસ્ક 5 રૂપિયામાં અને N 95 માસ્ક 65 રૂપિયામાં વેચાશે. ત્યારે સવાલ એ થાય છે કે શું કોરોનાની લડતમાં સૌથી મોટું હથિયાર ગણાતા માસ્ક સરકાર મફતમાં નાગરિકોને આપી શકી ન હોત?
કોરોનાની લડતમાં સૌથી મોટું હથિયાર માસ્ક સરકાર પૈસાથી વેચશે
સરકારને 55 દિવસે માસ્ક વેચવાનું બ્રહ્મજ્ઞાન થયું અને એ પણ પૈસા લઈને
CM રાહત ફંડમાંથી તમામ ગુજરાતીઓને મફતમાં માસ્ક આપી શકાયા હોત
મહત્વનું છે કે આજે લૉકડાઉન 4ને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં ખાસ કન્ટેનમેન્ટ ઝોન સિવાય મોટા ભાગની છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ આ બધાની વચ્ચે એક જાહેરાત એવી પણ કરાઈ જેના પર સવાલો ઊભાં થયાં. મુખ્યમંત્રી રૂપાણીએ છેલ્લે એવી જાહેરાત કરી કે તમામ નાગરિકે માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે નહીંતર દંડ પેટે 200 વસૂલાશે. જો કે સરકારે લોકોને માસ્ક મેળવવામાં સવલત મળી રહે તેવી વાત કરતા કહ્યું હતું કે આવતીકાલથી અમૂલ પાર્લર પર સરકાર માસ્ક વેચશે. જેમાં થ્રી લેયર માસ્કની કિંમત 5 રૂપિયા હશે અને N95 માસ્કની કિંમત 65 રૂપિયા લેવાશે.
કોરોનામાં સૌથી મોટા હથિયાર ગણાતા 5 રૂપિયાના માસ્ક સરકાર મફતમાં ન આપી શકે?
CM રૂપાણી અમૂલ પાર્લર પર માસ્ક વેચાશે એ જાહેરાત તો જોતા ખૂબ સારી લાગે છે પરંતુ શું રાજ્ય સરકાર 6.5 કરોડની પ્રજા માટે ફ્રીમાં માસ્ક ન આપી શકે? મહત્વનું છે કે રૂપાણી સરકારે અને કેન્દ્ર સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે કોરોનાનો કોઈ ઈલાજ નથી અને હવે તેની સાથે જીવતા શીખવું પડશે. કોરોના સંકટમાં માસ્ક અને સેનેટાઈઝરની સાથે આપણી સાવચેતી એ એકમાત્ર હાલ પૂરતો ઈલાજ છે તેવું હવે સરકારી જાહેરાતોમાં પણ જોવા મળી રહ્યું છે. ત્યારે કોરોનાની લડતમાં માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિગ અનિવાર્ય અને અતિ મહત્વના છે. આવામાં સરકારે માસ્ક પર પૈસા વસૂલવાને બદલે મફતમાં વેચ્યા હોત તો કોરોનાના ઈલાજ સમાન જ સરકારની કામગીરી ગણી શકાઈ હોત.
100 કરોડ રૂપિયામાં કોરોનાથી બચી શકાય તો સરકાર ન ફાળવી શકે?
સરકાર મુખ્યમંત્રી રાહત ફંડના રૂપિયાનો ખર્ચ કરી ફ્રીમાં વેચી શકી હોત. થ્રી લેયર માસ્કની જો આપણે વાત કરીએ તો સરકાર તેને અમૂલ પાર્લર પર 5 રૂપિયાના ભાવે વેચવાની છે. જેના લેખે 6.5 કરોડની વસ્તી ગણીએ તો પણ આ સમગ્ર માસ્કનું બજેટ આશરે 32.5 કરોડ રૂપિયાનું બજેટ થાય. આ હિસાબે જો સરકારે 1-2 મહિના હજુ પણ માસ્ક મફત વેચવા પડે તો કદાચ 2થી 3 વખત મફતમાં માસ્ક વેચવા પડે. આવામાં વધી વધીને આ બજેટ 100 કરોડની આસપાસ થાય. પરંતુ કોરોના સામેની લડતમાં માસ્ક સૌથી મોટું હથિયાર છે ત્યારે આખા ગુજરાત માટે 100 કરોડની રકમ સરકાર માટે કંઈ ન કહેવાય.
55 દિવસ માસ્કની કાળાબજારી થવા દીધી હવે સસ્તામાં વેચવા નીકળ્યા : કોંગ્રેસ
મુખ્યમંત્રી રૂપાણીના માસ્ક અમૂલ પાર્લર પર રૂપિયા લઈ વેચવાના નિર્ણય પર વાત કરતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સ એવા ડૉક્ટર અને નર્સને પણ યોગ્ય સમયે PPE કીટ અને N 95 માસ્ક રાજ્ય સરકાર ના પહોંચાડી શકી હોય તે અમૂલ પાર્લર પર 6 કરોડ લોકોને કેવી રીતે માસ્ક વેચશે. રાજ્ય સરકારને 55 દિવસ પછી બુદ્ધિ આવી કે લોકોને માસ્ક પહોંચાડવા જોઈએ. 65 રૂપિયાનું તે કંઈ N95 માસ્ક હોય, જે માણસ પોતાના સંતાનોને 50 રૂપિયા દૂધ કે ભોજન નથી આપી શકતો એવા ગરીબો 65 રૂપિયાનું માસ્ક ખરીદવા અમૂલ પાર્લર જશે.
સરકારે ને મોડી બુદ્ધિ આવી જો પહેલાં જ આ સ્ટેપ લીધા હોત તો રાજ્યમાં માસ્કની કાળાબજારી ન થાત અને પ્રજા લૂંટાત નહીં. હવે તો રાજ્યના મોટા ભાગના લોકો પાસે માસ્ક છે અને સરકાર સસ્તામાં વેચવા નીકળી છે.65 રૂપિયાનું માસ્ક સરકારે 10 રૂપિયાના ટોકન ભાવે વેચવું જોઈએ. આ તો સરકારની પણ લૂંટ છે.